ધ્યાન ધર હરિતણું

વિકિસ્રોતમાંથી
ધ્યાન ધર હરિતણું
નરસિંહ મહેતા


ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ, જેથકી જન્મનાં દુઃખ જાયે;
અવર ધંધો કરે, અરથ કાંઈ નવ સરે, માયા દેખાડિને મૃત્યુ વહાયે. ધ્યા.
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર ન્હોયે;
અવર વેપાર તું, મેહેલ્ય મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મ્હોયે. ધ્યા.
પટક માયા પરી, અટક ચરણે હરિ, વટક્ય મા વાત સુણતાંજ સાચી;
આશનું ભવન આકાશ સૂધી રચ્યું, મૂઢ એ મૂળથી ભીંત કાચી. ધ્યા.
અંગ જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લ્હેતો શ્રીકૃષ્ણ કહેવું;
ચેતરે ચેત દિન, ચાર છે લાભનાં, લીંબુ લ્હેકાવતાં રાજ લેવું. ધ્યા.
સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્‌યા, તે તણા સુજશ તો જગત બોલે;
નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ શું ઘણી, અવર વેપાર નહીં ભજન તોલે. ધ્યા.