અમૂલ્ય વસ્તુઓ ત્યાંજ શોભે અને તેજ તેની કિંમત જાણે. એને તું બજારમાં દુકાન માંડીને હીંગની પેઠે વેચવા બેશીશ તો કાંઇ પણ કિંમત ઉપજનાર નથી એ વાત પણ યાદ રાખજે.
એ પ્રમાણે વિચાર કરી રાજસ્થાન તર્ફ જવા હું મારે ગામથી નીકળ્યો. પણ મેં વિચાર્યું કે હાલને સમે અકબરશાહ ચક્રવર્તી કહેવાય છે તેથી પ્રથમ ત્યાં જવુંજ લાઝિમ છે. એમ વિચારી હું દિલ્હી તર્ફ વળ્યો અને વાટમાં આપની તારીફ સાંભળી કે હું મારા મનમાં ત્યાંથીજ પોતાને લક્ષાધિપતિ થઇ ગએલો ગણવા લાગ્યો. પણ અહિંયાં આવ્યા પછી તો સમજવા લાગ્યો. દૂરથી ડુંગર રળીયામણા જેવું થયું. આપનો દરવાન દરબારમાં પેસવા દે નહિ અને આપને ભંડારમાંથી લાખ રૂપિયા કાઢવા પડે નહિ. યુક્તિ તો બહુ સારી. હુંજ મુર્ખ કે રાજસ્થાન મૂકી આણી તર્ફ આવ્યો. આપ ગમે એવા ચતુર અને વિદ્યાના પોશિંદા હો તથાપિ અન્ય ધર્મી અને અન્ય ભાષાના બોલનાર તમારાથી તે બે લીટીના લાખ રૂપિયા એક કાફર હિંદુને અપાય? એતો દાનવીર ક્ષત્રીઓનાં કામ ! તે છતાં આટલેથીજ હું સમજીને પાછો ગયો હોત તો કાંઇ હરકત નહોતી. પણ મેં મૂર્ખાએ સરસ્વતીની આજ્ઞા ઉલ્લંઘન કરી વગર ગ્રાહકે તેમાંનો એક દૂહો દરવાનને આપ્યો, ને કહ્યું કે જા પાદશાહને આપી આવ. પણ અગાઉથી ચેતવી મૂકેલો આપનો દ્વારપાળ તે કેમ ચૂકે? તેણે ફાડીને તેના કડકા કરી નાખ્યા અને હું રડતો રહ્યો. તે દૂહો મેં બરાબર ગોખી રાખ્યો હોત તો પણ ઠીક.
અકબર બાદશાહ ક્રોધ કરીને બોલ્યા કે એવા ઠગારા તો મેં બહુ દીઠાછે. એવા ફેલથી હું ઠગવાનો નથી. તારું એક કાગળનું ચીંથરું ફાડી નાખ્યું તેને માટે તું મારી પાસેથી લાખ રૂપિયા કઢાવવાની તજવીજ લાવ્યો છે કે શું ? એમાં જે દૂહો હતો તે જાણ્યા પછી યોગ્ય હોત તો લાખના બે લાખ આપત. બીરબલે ધીટપણે ઉતર વળ્યો કે "જનાહપનાહ, એ સબબને લીધેજ હું મારા નશીબને રોઊછું કની? જો તે દૂહો બધો યાદ હોયતો અહિંયાં નહિતો બીજે કોઈ ઠેકાણે પણ એના દમ ઉપજતજ. પણ આ તો મેં મારો લાખ રૂપિઆનો હીરો ગુમાવ્યો! છક્કડ મારીને છીનવી લીધો! ઝવેરી ખરેખરો દગાબાજ મળ્યો! હવે જોગ નહિં લઉં તો બીજું શું કરું? માટે મહારાજ રામ રામ, તસ્દી માફ કરજો."એમ કહી જવાની તૈયારી કરેછે અને એટલામાં જાણે કાંઇ સાંભરી આવ્યું હોય તેમ બોલી ઉઠ્યો કે તે છતાં મને તેનાં ત્રણ ચરણ તો યાદછે. ત્યારે તો, અકબર બાદશાહે કહ્યું, કે એનું ચોથું ચરણ મારા કવિમંડળમાંથી કોઈ પણ પૂર્ણ કરી આપશે અને પછી અમે જા, તારું મનરંજન કરીશું. બોલ તે ત્રણ ચરણ તો કહે. હસીને બીરબલે કહ્યું કે સરસ્વતીના શ્લોકનું પાદપૂરણ કરવાને કોણ સમર્થ છે? તે છતાં જોઇએ માનો પૂત એવો કોઇ તમારા દરબારમાં વસે છે, કેમકે ચોથું ચરણ હું ભૂલી ગયોછું તે છતાં કોઈ કહેશે ત્યારે તો મને યાદ આવશે ખરું. માટે લ્યો, ભલે, તમારા કવિઓની ચતુરાઇ તો જોઉં. એના ત્રણ ચરણ આ પ્રમાણે છે.
अहोरात्र जागृत खड़े, मम रक्षक महाशक्त;
यौ कह सुखे सुवे सदा, -