અકબરશાહ કવિઓનો ઘણો પોશિંદો છે એવું એણે ચારે તર્ફથી સાંભળ્યું હતું અને તેથી એણે એ બાબત ઊપર વિશેષ લક્ષ આપ્યું હતું. જાતનું વળણ તથા શોખ પણ તે તર્ફજ હતાં. તેથી દિલ્લીના દરવાજામાં પેઠો કે એના મનમાં તો એમ થવા લાગ્યું કે ક્યારે હું કચેરીમાં જાઊં, અને કવિરાજ કહેવાઉં. તોપણ એ પહોંચેલો હતો. શહેરોના આતુર સ્વભાવ પ્રમાણે બારોબાર ધૂળભર્યાજ દેદારે ત્યાં જવાનું મનતો થયું, પણ તેને દાબી રાખી રાતવાસો એક મુસાફાખાનામાં જઇને ઉતર્યો. સવારમાં ઉઠી દિલ્લીવાનોના ફક્કડ પોશાક જોઈ એના મનમાં લાગ્યું કે જો હું મારા આ ગામડીએ લૂગડે દરબારમાં જઇશ તો મને ધક્કા મારીને કાઢી મૂકશે. એમાં કાંઈ શંકા નહિ. તેથી પાસે ખર્ચીમાં પાંચ રૂપીઆ બાકી રહ્યા હતા તેમાંથી એક રૂપિયો ધોબીને આપી તેની સાથે એવી બોલી કરી કે તારે મને ત્રણ દહાડા સુધી તાજાં કડકડતાં લૂગડાં આપવાં, અને કચેરીમાં જઇ આવ્યા પછી હું તને પાછા આપીશ. પછી ખાઇપીને શેહેર જોવાને તથા બાતમી કાઢવાને નીકળ્યો.
ફરતાં ફરતાં એ થાકી ગયો, પણ શહેરનો પાર આવ્યો નહિ. લોકો એવા બેદરકાર અને ટિખળી માલમ પડ્યા કે કોઈ રસ્તો જ બતાવે નહિ, ને કોઈ કદાપિ બતાવે તો એવો આડો કે ક્યાંનો ક્યાં એ બિચારો પરદેશી કૂટાયાંજ કરે. કોઈ મોટું મકાન જોય કે એના મનમાં એમ લાગે કે આ પાદશાહનો મહેલ આવ્યો. પણ તપાસ કરતાં જણાય કે એતો કોઈ સાધારણ વેપારી કે મુત્સદ્દીનું ઘર છે. કોઈ ઠાઠ ભર્યો રસાલો જતો દેખે કે ધારે કે એ પાદશાહની સ્વારી હશે, પણ પૂછતાં એનું નામ કોઈ દીલ્હીમાં જાણતું નથી એવો તે અપ્રસિદ્ધ નીકળે. એમ રખડતાં રખડતાં અને ભમતાં ભમતાં સાંજ પડવા આવી, પણ પાદશાહની કચેરીનો તો કાંઈ પણ પત્તો લાગ્યો નહિ. તેથી પાછો વળ્યો અને ઉતારો જડતાં એટલી મુશીબત પડી કે થાકીને લોથ થઈ જઈ વગર ખાધે ને પીધે એક સાદડી ઉપરજ સૂઈ ગયો. ત્યાં કોઇ ભઠીઆરો ભાતભાતના મુસલમાની ખાનાં વેચવાને આવ્યો હતો. તેણે તો કાંઇ ખરીદ કરી પોતાની ભૂખ શાંત કરવાને ઘણોએ સમજાવ્યો. કહ્યું કે દિલ્હીમાં ઘણાએ હિંદુ મારી પાસે આવીને છાનામાના મઝા મારી જાય છે, અને અલ્લાના કસમખાઈને જાહેર કર્યું કે, "નાનમેં તો કુચ બિટાલ નહિ હૈ", તોપણ એ બીરબલે માન્યું નહિ, ત્યારે તે પરમાર્થી ભઠીઆરો ચીડવાઇને ચાલ્યો ગયો, અને બબડતો ગયો કે આવા ગમાર કાફરોને રસુલઅલ્લાના ફરમાન મુજબ મારીનેજ દીન બોલાવ્યા વિના કદી પણ સમજવાના નથી.
બીજે દહાડે તો બીરબલે ગમે તેમ કરીને પાદશાહી મહેલનો પત્તો મેળવ્યો; જાતે તે જઇને બાહરથી જોઈ આવ્યો; ત્યાં જવાની ગલીએ ગલી ઓળખી રાખી; રાત્રે દરરોજ વિદ્વાન મંડળ ક્યારે ભેળું થાય છે તેને ખૂદ દરવાન પાસેથી જ બાતમી મેળવી; અને ખુશી થતો મધ્યાન્હ પહેલાં ધર્મશાળામાં પાછો આવ્યો. હરખમાં કંસારના મિષ્ટાન્ન ઉડાવ્યાં અને નિરાંતે બે ઘડી નિદ્રા પણ લીધી. પાછલે પહોરે ઊઠી મોં ધોયું, મૂછને વળ દીધા, શિખા ટિકા સમારી કસબી ફેટો બાંધી લીધો, કડકડતા નવરંગી કોકા પટકાવ્યા, અને આઇનો હાજર ન હોવાથી કંકુની દાબદીના ચાટલામાં હરખથી પોતાનું મોં નિરખી ધર્મશાળાની બહાર નીકળી પડ્યો. બારણે ઉભા ઉભા અર્ધીક ઘડી