રસિક રૂપ છે તેથી મારા કરતાં એ સમશ્યાપૂર્તિ સારી છે એમ હું કબૂલ કરૂં છું.
બીરબલે રાજા તોડરમલ્લને સલામ કરી કહ્યું, આપ લાયક આદમી છો એટલે વિવેક કરો એમાં કાંઈ નવાઈ નથી. પછી બાદશાહ તર્ફ નજર કરી બોલ્યો કે, પૃથ્વીપતિ, રાજાસાહેબની સમશ્યાપૂર્તિ યથાર્થ છે. મારા અને એમના શબ્દાર્થમાં કાંઈ ભેદ નથી. પણ મારો શારદાકૃત દુહોછે તેથી વિચારીને જોશો તો કાંઈ બીજી પા ચમત્કૃતિ નીકળી આવશે. બાદશાહે ચોતર્ફ જોયું કે કોઈ બીજી ચમત્કૃતિ એમાંથી કાઢી આપે છે. મિંયા ફૈજીએ કહ્યું. હાજી, આ દુહાની ખૂબી એ છે કે રાજા માનસિંગ અને મુલ્લાં અબુલફઝલની સ્મશ્યાપૂર્તિમાં જે વિરૂદ્ધતાઓ આવી હતી તે બંને નો સમાવેશ એમાં થઇ જાય છે. જો,
એમ શબ્દ તોડીને વાંચીએ તો જૂદો અર્થ નીકળે અને નહિતો સાધારાણ રાજા લોકોને પસંદ પડતો જ અર્થ દેખાય:
બાદશાહ આ સાંભળી ઘણો પ્રસન્ન થયો અને સર્વેના વખાણ કરવા લાગ્યો. એણે કહ્યું કે મારી સભામાં આવાં રત્નો પરમેશ્વરે આપ્યાં છે તેથી હું તો તેનો ઉપકાર માનું છું. વારૂં પંડિતરાજ, તમે કાવ્યશાસ્ત્રીછો, તેથી નિર્ણય કરો કે સઘળાં ચરણોમાં સૌથી સારૂં કોને ગણવું. મારે નજર માં તો એ સઘળાં સારા લાગે છે. જગન્નાથપંડિતે ધેમેથી ઉત્તર આપ્યો કે બધાંએ ચરણ રસિક છે ખરાં, તોપણ કવિકૃતતો બીરબલનું જ કહેવાય.
ફેઇઝીએ પૂર્વપક્ષ કર્યો કે રસછે તો કવિતા છે અને કવિતા કહી તોપછી તે કવિકૃતિ થઇજ ચૂકી. જગન્નાથે હસીને કહ્યું, મિયાં ફૈઝી, આજે તમે સંક્ષેપમાં વાદ ઠીક ગોઠવ્યો છે. वाक्यं रसात्मकं काव्यं. એ આધાર પર તમે કુદતા હશો પણ રસ શબ્દનો અર્થ તમે સાધારણ લોકની પેઠે સમજોછો તેવો નથી,અ થવા રસનો અર્થ તેમજ તમારે કરવો હોય તો હું કહું છું કે કાવ્યમાં રસ કરતાં પણ કાંઇ બીજી વસ્તુની જરૂર છે.
આ સાંભળી બધા પંડિતરાજના સામું જોવા લાગ્યા. એમાં કોઇને કાંઇ સમજાયું નહિ, અને ખુલાસો માગવાની હિંમત ચાલે નહિ. ત્યારે પાદશાહે કહ્યું કે તમારૂં બોલવું ઘણું ગૂઢ છે તેથી મને વિસ્તારથી સમજાવો. "ઠીક સાહેબ" એમ કહી જગન્નાથે આ પ્રમાણે ખુલાસો કર્યો. હર્ષશોકાદિ નાના પ્રકારના મનો વિકારને સાધારણ રીતે રસ કહેછે. જો એવો રસ જે વાક્યમાં હોય તેને કવિતા કહીએ તો બહુ વિપરીત થશે. પ્રાણીમાત્રમાં મનોવિકાર છે અને તેથી વિકારી સ્થિતિમાં તે જે બોલે તેને કવિતા કહેવી પડશે. કૂતરૂં ચીડવાઇને ભસવા લગે તો તે વીર રસ કહેવાય. અને કોઇ પોતાના બાપની પછાડી પોકશ્રાદ્ધ કરતો હશે તે કરૂણરસની કવિતા કરેછે એમ કહેવું પડશે. પ્રિય મરણના શોકથી એ જે વિલાપ કરતો હશે તેમાં કરૂણરસ કદાપિ હશે ખરો પણ એ કરૂણારસની કવિતા કરે છે એમતો નહિજ કહેવાય. એમ હોય તો પ્રાણીમાત્ર સુખદુઃખને સમે કવિછે અને કવિમાં કાંઇ વિશેષ રહેતું નથી. અર્થાત્ પોતાનાજ અનુભવની વાત કરનારો ગમે એવું રસમય બોલે તોપણ કવિ છે એમ નહિ કહેવાય.