કહ્યું કે જગન્નાથ કવિની વાણીમાંજ મીઠાશ રહેલી છે. હવે તો બીરબલ એનો ખેદ મૂકી દે અને પ્રફુલ્લિત ચિત્તે વર્ષાઋતુ વિષે કાંઇ કવિતા કરે તો પછી આપણા આનંદમાં કાંઈ ન્યૂન રહે નહિ.
બીરબલે કહ્યું કે આપના હુકમ આગળ ખેદ કે દીલગીરીની શી તાગાદ છે કે તે ટકી શકે. એમ કહી કવિતા કરવા સારૂ આકાશ ભણી એણે સહેજ નજર કરી જોય છે તો આકાશમાં મનોહર લીલા થઈ રહી હતી, સૂર્ય આથમવાનો વખત હતો, પશ્ચિમ દિશા અવનવા રંગોથી દીપી રહી હતી. માથા ઉપર મેઘધનુષ્ય ઝળકી રહ્યું હતું, અને પૂનેમ હતી તેથી પૂર્વ ભણી ચંદ્ર પણ ઉગ્યો હતો. મહેલના બાગમાં માંડવા નીચે એ દહાડે બેઠક હતી તેથી વનસ્પતિની શોભાનો પણ કાંઈ પાર નહોતો, બીરબલ તો આ સૌંદર્યસિંધુમાં ગરકજ થઇ ગયો, અને શું કરૂં ને શું મૂકી દઉં તેની એને કાંઈ સૂઝ પડે નહિ.
એવામાં ઘોડો ફેંકતા મિયાં અબુલફઝલ ત્યાં આવી પહોંચ્યા અને તેના દેખાવ ઉપરથી જણાયું કે કાંઇ અગત્યની ખબર લાવ્યા છે, એણે તુર્ત આવીને બાદશાહના હાથમાં કાંઇ કાગળ આપ્યો. બાદશાહ ઝપાટામાં તે કાગળ ઉપર નજર ફેરવી ગયા, ક્ષણેક વિચાર કર્યો, તે પછીથી જાહેરમાંજ કહ્યું કે અબુલફઝલ, એમાં કાંઈ ગભરાવા જેવું નથી, કાલે અમે પંડેજ ફક્ત બે હજાર સવાર લઇને એ રાજા ઉપર ચડીશું, પણ મને આશ્ચર્ય લાગે છે કે ચંદ રાજાની ઉપર હું આટલી બધી પ્રીતિ રાખતો હતો તે છતાં એણે બંડ શા માટે કર્યું હશે.
આ સાંભળી બધા નીચું જોઈ રહ્યા, કેમકે બધાના જાણવામાં હતું કે કેટલાક વખતથી સઘળા રજપૂતો ધુંધવાઈ રહ્યા હતા, અને તેનું કારણ એ હતું કે કેટલાક વખતથી અકબરશાહના ઝનાનામાં દર શુક્રવારે મોટી મોટી રજપૂતાણીઓને બોલાવવામાં આવતી, ત્યાં બજાર ભરાતો અને વખતે પાદશાહ પંડે તે જોવાને નિમિત્તે ત્યાં જતો, એમાં બગાડો તો કાંઇ નહોતો, પરંતુ રજપૂતોના જીવ એથી બહુ કચવાતા હતા, પણ આ વાત પાદશાહને મોઢે કોણ કહે ? રાજા ટોડરમલે બીરબલને ઇશારત કરી કે તું બટકબોલો છે તેથી તારાથી કહેવાય તો મશ્કરીમાં કહે, એણે માથું ધુણાવી કહ્યું કે ઠીક છે.
બાદશાહ તો બીજા દિવસની કૂચને માટે અબુલફઝલને સૂચના આપી રહ્યા કે જાણે કાંઇ નવીન બન્યુંજ ન હોય તેમ હસતે મ્હોંઢે બીરબલ તર્ફ જોઇને કહ્યું કે કેમ ? કવિતા તૈયાર થઇ કે નહિ. હાજી, એમ કહી બીરબલ નીચે પ્રમાણે બોલ્યો;
रंगबेरंग मनोहरां, पतरीपयोधरीवृंद;
मित्र ठरा थिर रक्त हो, चार चडाया चंद.
બીરબલનો આ ઝડાકો સાંભળતાં જ સભામાં સઘળાએ નીચું જોયું અને થોડીક ક્ષણ સુધી કોઇ કંઈપણ બોલી શક્યું નહિ. બધા વિચારમાં પડ્યા કે હવે બાદશાહ કોણ જાણે શું કરશે. પણ અકબરશાહ મોટા મનનો હતો અને તે સમજી ગયો કે પરોક્ષે મને