આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જે સત્કાર, માન અને પૂજાને અર્થે દંભપૂર્વક જે થાય છે તે અસ્થિર અને અનિશ્ચિત તપ રાજસ કહેવાય છે.૧૮.
જે તપ પીડાઈને, દુરાગ્રહથી અથવા પારકાના નાશને અર્થે થાય છે તે તામસ તપ કહેવાય છે. ૧૯.
આપવું યોગ્ય છે એવી સમજથી, તેમ જ બદલો મળવાની આશા વિના, દેશ, કાળ અને પાત્ર જોઈને જે દાન થાય છે, તેને સાત્ત્વિક દાન કહ્યું છે. ૨૦.
જે દાન બદલો મળવાને અર્થે અથવા વળી ફળનો ખ્યાલ રાખીને અને દુઃખે દેવામાં આવે છે તે રાજસી દાન કહેવાયું છે. ૨૧.
દેશ, કાળ અને પાત્રનો વિચાર કર્યા વગર ખોટે સ્થાને, કટાણે અને કુપાત્રને આપેલું અથવા માન વિના, તિરસ્કારથી આપવામાં આવેલું દાન તામસી કહેવાય છે.૨૨.
૧૬૪