ગૃહોમાં, રેડીઓ પર તેમ જ ગ્રામોફોનમાં ગાઈ શ્રોતાઓમાં મંત્ર મુગ્ધતા મુકી છે એટલું જ હોત તો બસ ન લેખાત, એ ગીતો રાષ્ટ્રકાવ્યના નમૂના છે.
અહીં ‘ગાંધી કાવ્યસંગ્રહ’ના સંપાદકોએ કરેલું વિધાન ટાંકવા જેવું છે -
'પ્રશસ્તિકાવ્યની ઉત્તમ કવિતાપ્રકારમાં ગણના થતી નથી. પણ આ સંગ્રહમાં ગાંધીજીની પ્રશસ્તિ ઉપરાંત, એમના જીવનને લગતા છતા એમના જ નહિ પણ સારી પ્રજાના જીવનના ગણાઈ ચુકેલા ઐતિહાસિક પ્રસંગોમાથી પ્રેરાયેલી કૃતિઓ પણ સદ્ભાગ્યે સારા પ્રમાણમાં છે'
ગાંધીજી વિશેની મારી કૃતિઓ માટે તો આટલું કથી શકું તેમ છું કે હું એમનો અનુયાયી નથી, એમના રાજકારણવાદ અથવા અધ્યાત્મવાદનો અભ્યાસી વા ભક્ત પણ નથી. રામાનુરકત તુલસીદાસના કે અમારા સોરઠી સંત વેવાના ભકત રામ બાવાના ઉત્કટ શરણાગતભાવ અને મુગ્ધતાથી કાવ્યમાં ગુરુ-ઉપાસના કરવાનું મારા જેવા માટે શક્ય નથી. મેં તો પ્રત્યેક પ્રસંગે તેમના વલણો, મંથનો ને આત્મવેદનાઓ કેવાક હશે તેનું કેવળ પરલક્ષી અર્થથી, છતા બેશક મારી ધગશ દ્વારા, નિરૂપણ કર્યું છે, ને હું માનુ છુ કે શ્રી દુલાભાઈએ પણ તેમજ કર્યું છે