પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

[૫]

શબ્દ અમુક સંજ્ઞા પ્રાપ્ત કરી છે. અને જૂની રૂઢિઓને વળગી રહેવામાં, શુદ્ધિનો અનાદર કરનાર જડ માનસવાળા તે ભદ્રંભદ્રો એ અર્થ રૂઢ થયો છે. ગુજરાતી ભાઈબહેનોની સામાજિક ઉન્નતિનો શુભ ઉદ્દેશ જે આ પુરતકમાં અંતર્ભૂત રહેલો છે તે સફળ થાઓ અને તેના લેખકની સાક્ષરી કીર્તિ કાયમ માટે એ દ્વારા સચવાઓ એવી શુભેચ્છા સહિત એ સદ્‌ગત મહાનુભાવને નિવાપાંજલિ અપ કૃતાર્થ થાઉં છું.

અમદાવાદ,
તા. ૯-૪-'૩૨

વિદ્યાબહેન ર. નીલકંઠ
 


છઠ્ઠી આવૃત્તિ

ગુજરાતી ભાષામાં છેલ્લાં કેટલાંક વર્ષથી પુસ્તકપ્રકાશનનો ઠીક ઠીક વધારો છે. નવાં પુસ્તકોના પ્રચાર સાથે કેટલાંક જૂનાં પુસ્તકો અદૃશ્ય થતાં જણાય છે. વાંચનારની રુચિ બદલાય, પુસ્તકોની સામયિક ઉપયોગિતા પૂરી થાય વગેરે અનેક કારણો આ વસ્તુસ્થિતિ માટે હોય છે. જગતનાં તમામ સાહિત્યમાં આવું જોવામાં આવે છે. છતાં કેટલુંક સાહિત્ય બીજા કરતાં ચિરસ્થાયી બને છે અને કેટલુંક તો એવું છે કે જે સદાકાળ જીવંત રહેવાનું. ભદ્રંભદ્રની નવી આવૃત્તિ પ્રકટ કરવાનો પ્રસંગ ફરી પ્રાપ્ત થયો છે તે જ તેમાં રહેલા ચિરસ્થાયિતાના અંશોની સાબિતીરૂપ છે. એ પુસ્તકના ‘નર્મહાસ્ય’ની કદર કરનાર વર્ગ ચાલુ છે એ આનંદની વાત છે. ગુજરાતી સાહિત્યમાં તેના લેખકનું જે અજોડ સ્થાન છે તે આ પુસ્તક દ્વારા તથા લેખકની બીજી કૃતિઓ મારફત ભવિષ્યની ગુજરાતી સાહિત્યની દુનિયા સમક્ષ કાયમ રહેશે એ આશા અસ્થાને નથી.

અમદાવાદ,
તા. ૧૪-૧૦-'૩૯

વિદ્યાબહેન ર. નીલકંઠ
 


સાતમી આવૃત્તિ

ભદ્રંભદ્રની નવી આવૃત્તિ વાચકવર્ગ સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે. લંબાણ ખચકાને અંતરે પણ આ પુસ્તકની છ આવૃત્તિઓ પચાસ વર્ષના ગાળામાં નીકળી ગઈ એ પુસ્તકની ગુણવત્તાનું પ્રમાણ છે.

ગુજરાતી સાહિત્યના વર્તમાન સમયના હાસ્યરસના અગ્રગણ્ય પ્રણેતા શ્રી જ્યોતીન્દ્ર દવેએ શ્રમ લઈ તુલનાત્મક સમાલોચનાવાળો ઉપોદ્‌ઘાત લખી આપ્યો છે તે માટે તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. હાસ્યરસની ગંગા વહેતી રાખવાનું માન જો કોઈને ઘટતું હોય તો ભાઈ જ્યોતીન્દ્રને છે. આ રસગંગા એવી છે કે એને નીચાણમાં અનિષ્ટ માર્ગે ઢળી જવાનો ભય છે. તેવાં ભયસ્થાનોથી દૂર રહી જે વિરલ વ્યક્તિઓ હાસ્યનીરને નિર્મળ, નિર્દોષ રાખી જનતાનાં મન બહલાવી શકે છે તે