એક દીવસે શાહ દરબાર ભરીને પોતાના મનોહર બાગમાં બેઠો હતો. તેવામાં ત્યાં બે મુસાફરો આવીને હાજર થયા. અને તેઓ કોણ હતા તે પારખી કાઢવા માટે શાહને અરજ કીધી. તેમની આ અરજ સાંભળી શાહ અને દરબારીઓ તેમની તરફ આશ્ચર્ય પામી જોવા લાગ્યા. તે એક મેકને મળતા આવતા હતા તેથી તેઓ કોણ છે તે ધારવું બહુજ કઠીણ હતું.
નીમીશવાર વિચાર કર્યા પછી શાહે તમામ દરબારીઓને કહ્યું કે, ' આ મુસાફરો કોણ છે તે પારખી કાઢો ?' હવે કેમ કરવું તેના વિચારમાં બધા પડ્યા. આખરે બીરબલે તેમ કરવાની હામ ભીડી. બીરબલે બંને મુસાફરોને આસન આપી બેસાડ્યા અને પછી એક મુસાફરને કહ્યું કે, ' હું પુછું તેના ખરા જવાબ આપશો ?'
પહેલા મુસાફરે હા પાડી.
બીરબલ - તમે ક્યાં રહો છો ?
પહેલો મુસાફર - હું દરેક ઠેકાણે રહું છું છતાં મારૂં એક ચોક્કસ સ્થાનક નથી.
બીરબલ - તમે શું કરો છો ?
મુસાફર - હું દોડનાર છું. અને આખી દુનીયાના દરેક ભાગમાં હું દોડું છું. જ્યાં બીજા કોઈનો પણ પ્રવેશ થઈ ન શકે એવા સઉથી ખાનગી ભાગમાં પણ વગર અટાકાવે હું દાખલ થઈ શકું છું.
બીરબલ - તમારી સત્તા કેટલી છે તથા બીજું પણ તમારે વિષે જેટલું જણાવી શકતા હો તેટલું મને કહી દો.
મુસાફર - મારી સત્તા ઘણી છે. હું માત્ર આ દુનીઆ ઉપરજ ફરતો નથી પણ આકાશમાં પણ ફરી શકું છું. મને જોતાંજ સાગર અને ભુમી કાંપવા મંડી જાય છે, અને જંગલના મોહોટા ઝાડો જડમુળથી ઉખડી જાય છે. હું જ્યારે ફરવા નીકળું છું, ત્યારે દરેક જણને મારતો જાઉં છું.' પણ મને પકડી રાખવાની કોઈ સત્તા ધરાવતો નથી. દરેક જણ મારૂં નામ જાણે છે, છતા કોઈએ મને દીઠો નથી. મારા વડેજ બધું છે. હું ન હઉં તો આ ભુમીમાં ઘણી ઉથલ પાથલ થઈ જાય.
બીરબલે વીચાર કરીને કહ્યું કે, 'ઠીક.'
મુસાફર - ત્યારે કહો હું કોણ છું?