પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૬
જ્ઞાન અને વૈરાગ્ય

શું થયું તપ ને તિરથ કીધા થકી, શું થયું માલ ગ્રહી નામ લીધે;
શું થયું તિલક ને તુલસી ધાર્યાથકી, શું થયું ગંગજલ પાન કીધે. જ્યાં૦
શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રંગ જાણે;
શું થયું ખટ્‌દર્શન સેવાથકી, શું થયું વરણના ભેદ આણે. જ્યાં૦
એ છે પરપંચ સહુ પેટ ભરવાતણા, આત્મારામ પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો કે, તત્ત્વદર્શન વિના, રત્નચિંતામણિ જન્મ ખોયો. જ્યાં૦


પદ ૭ મું.- રાગ વેરાવળ.

સુખદુઃખ મનમાં ન આણિએ, ઘટ સાથે રે ઘડિયાં;
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં. સુખ દુઃખ-ટેક.
નલરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી. સુખ દુઃખ
પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિંદ્રા ન આણી. સુખ દુઃખ
સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી. સુખ દુઃખ
રાવણ સરિખો રાજીયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લુંટાણી. સુખ દુઃખ
હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, તારાલોચનિ રાણી;
તેને વિપત્તિ બહુ પડી, ભર્યાં નિચ ઘેર પાણી. સુખ દુઃખ
શિવજી સરખા સતા નહીં, જેની પાર્વતી રાણી;
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી. સુખ દુઃખ
સર્વ દેવને જ્યારે ભિડ પડી, સમર્‌યા અંતરજામી;
ભાવટ ભાંગી ભૂધરે, મેહેતા નરસૈંને સ્વામી. સુખ દુઃખ