લીધે નહિ, પણ વિચારશૂન્યતાને લીધે. મેં જવાબ આપ્યો: "કૃષ્ણને માટે."
"ટે એવન કહાંઠી આવેલા હૂટા ટેને માટે આ બનાવેલું ?"
આ પ્રશ્નને ડાહ્યો ગણો કે ગાંડો ગણો, કે મને ડાહ્યો ગણો કે ગાંડો ગણો, પણ જવાબ આપવો ઘણો જ અઘરો છે. કોઈ હિંદુને આ પ્રશ્ન ઊઠે જ નહિ. મેં જવાબ આપ્યો : “કોઇ ગોપીને ત્યાં કૃષ્ણ ગયેલા તે પ્રસંગનું છે."
એ ગૃહસ્થ કરી વિચારમાં પડ્યા, મને ભય લાગ્યો કે ગોપી કોણ, કૃષ્ણ એને શું થાય, કૃષ્ણ શા માટે ગયા કે એવા કોઇ પ્રશ્નો આવશે તો મારા શા હાલ થશે ! એ ગૃહસ્થે ફરી મારા સામું જોયું, પણ આ વખતે પ્રશ્ન નહોતો, સૂચના હતી.
“ટે ટમે લોકો ગાંઢીજીને કહીને એક ગુજરાટી ક્લાસિકલ ડિક્ષનેરી કાંય નહિ કરાવટા ?"
ગાંધીજી જે કામો કરે છે તેમાંના એકને માટે પણ્ તેઓ લાયક નથી એવી જેમ એક બાજુ માન્યતા છે, તેમ દુનિયાનાં જેટલાં કામો છે તે બધાં તેમણે જ કરવાં જોઈએ એવી એક બીજી બાજુની માન્યતા છે. મેં ધીરે રહી પતાવ્યું: "હા, બનાવવી જોઇએ." મેં મેં ધાર્યુ કે પ્રશ્નથી ઊલટું રૂપ સૂચનાનું છે એટલે હવે કાંઈ નવા વાર્તાલાપ ન થાય. ત્યાં તેમણે ઝમકુકાકી તરફ જોઇ ફરી પૂછ્યું:
“ ટે પેલાં ગવરાવે છે ટે ડોસી મેનેજર છે કે?"
મેં કહ્યું: "એ આ મંડળનાં અધ્યક્ષ છે. અને એમને સારું ગવરાવતાં આવડે છે એટલે ગવરાવે છે."
અને આજે ઝમકુકાકી અધ્યક્ષતરીકે કેવાં શોભતાં હતાં !