પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
ગ્રહાષ્ટક વત્તા એક
 


હતી. એમણે એ ઘર ભેગા કરી દીધા.’

આ સાંભળીને સર ભગનને બીજી એક વાતની ચિંતા પેઠી : આ જબરી માનવમેદની અહીં લૂંટફાટને રવાડે ચડશે તો ? શ્રીભવનના બંગલામાં જ પેસી જશે તો?

પણ તુરત સર ભગનને થયું કે મિલકતની રક્ષા કરતાં અત્યારે તો દેહની રક્ષા વધારે તાકીદની ગણાય. જાન બચ ગઈ લાખો પાયે, એ સૂત્ર સંભારીને તે સલામતીની શોધમાં લાગી ગયા. શિર સલામત તે પઘડિયાં બહોત એમ સમજીને તેઓ આ ઘમસાણમાં શિર શી રીતે સલામત રાખવું એની જ ચિંતા સેવી રહ્યા.

એમણે જોઈ લીધું કે આ અથડામણમાંથી હેમખેમ ઊગરવું મુશ્કેલ છે. અને જ્યાં સુધી અજવાળું થાય નહિ ત્યાં સુધી આ અથડામણ અટકે એમ નથી. પણ આ ઘમસાણમાં અજવાળું થાય પણ કેમ કરીને ? યજ્ઞનિમિત્તે યોજાયેલી રોશનીમાં વીજળી પ્રવાહના બેહદ દબાણાને લઈને યુઝ ઊડી ગયો, પણ એ ઓગળી ગયેલો તાર ફરી બાંધવાનું કામ તો બે જ મિનિટનું, પણ એ કરે કોણ ? આ ગાંડાતૂર માનવમહેરામણને એ સૂઝે શી રીતે?

લોકો તો અત્યારે એક જ ચિંતામાં હતા. અષ્ટગ્રહ યોગની આફત શરૂ થઈ ગઈ છે, કેમ કે, ગ્રહણ ઘેરાવા માંડ્યું છે. આ દેશમાં ભલે ને ગ્રહણ ન દેખાય, પણ દુનિયામાં બીજે સ્થળોએ ગ્રહણ થાય એની અસર આપણા ઉપર થયા વિના રહે?

‘એ ગ્રહણનો વેધ શરૂ થયો હશે. અને અહી આપણું વિમળ તળાવ ફાટ્યું હશે.’

ગભરાટમાં બેફામ નાસભાગ કરતાં લોકો એમ જ સમજી ગયાં હતાં કે વિમળ તૂટી ગયુ છે અને એનાં પાણી અહીં આવી રહ્યાં છે.

‘હમણાં જ બધે જળબંબાકાર થઈ જશે અને આપણે જીવતાં જ ડૂબી મરીશું.’

‘બ્રહ્મપુત્રોની વાણી મિથ્યા થાય જ કેમ કરીને ? સહુ કહેતા હતા કે અષ્ટગ્રહ યોગમાં વિમલ તળાવ ફાટશે જ.’