પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્યક્તેન ભૂંજીથાઃ
૨૩
 


‘અરે બાવા, ગાડી તો કીથે બી ફસાઈ નહિ હુતી.’ કરતાકને બૅરિસ્ટર બુચાજી દીવાનખંડમાં પેઠા.

‘તો કયાં ફસાયેલ ?’

‘આય તમારો પેલો ડોરકીપર... કોન બબુચકને પકડી લાઈવા છો ?’

‘ગુરખો ? ગુરુચરણ?’

‘હા, એ નેપાલ બાજુની જ ઓલાદ જણાય છે. તે હું જાણે કે ખૂની–લૂંટારો કે ડાકુ હોઉં ને, એમ મને પજવવા લાગિયો. કે’છ કે અજાનિયા માનસોને બ’ગલામાં પેસવાની જ શેઠે મનાઈ કીધી છે. સાચી વાત, સર ભગન ?’

‘સાચી વાત. મનાઈ તો કીધેલી, પણ તમારે માટે નહિ.’

‘મેં પન એ ઇડિયટને એમ જ કીધું કે અઈલા અક્કલના બારદાન, બીજા બધા લોકો માટે ઘરનાં બારણાં બંધ કરો તો ચાલે, પણ દાક્તર વકીલ માટે તો રાઉન્ડ ધ ક્લૉક ઓપનડોર રાખવાં જોઈએ. ખરુ ને સર ભગન ?’

‘સાવ સાચું કહ્યું.’

‘અગાઉ હિન્દુ–મુસલમાનનાં હુલ્લડો થતાં ત્યારે ડસ્ક ટુ ડૉન કરફ્યુમાં પણ દાક્તરો–વકીલોને તો ફરવાની છૂટ અપાતી જ. દાક્તરોએ પેલાં ઘવાયેલાંઓની સારવાર કરવી પડે ને વકીલોએ એ ઘાયલ કરનારાઓને જામીનખતના સ્ટેમ્પ પેપર આપીને છોડાવવા પડે. કેમ બોલિયા નહિ, સર ભગન ?’

‘અત્યારે તમે સ્ટૅમ્પ–પેપરો લાવ્યા છો કે ?’

‘માગો તેટલાં; ને માગો તે સાલનાં ક્વીન વિક્ટોરીયાના ચહેરાવાલો જૂનામાં જૂનો સ્ટૅમ્પ–પેપર બી આ બુયાજીના બ્રીફકેસ માંથી મળી આવશે. જૂનું તે સુનું. કેમ બોલિયા નહિ, સર ભગન ?’

‘આજે આપણે બોલબોલ કરવાને બદલે મૂંગામૂંગા કામ