કેમ આવડશે? મને કોઈ મે'ણું દેશે તો?
ગડમથલનો પાર ન રહ્યો. આખરે એણે કહ્યું: “મારે નથી જવું.”
“કેમ?”
“માછલું પાણી મૂકીને નહીં જઈ શકે."
“બેટા !”
“બસ ! મને એમ કહીને જ બોલાવો. મને ન કાઢી મૂકો. મારે રાજા નથી થવું." . "ભાઈ ! તારા પિતાની જિંદગાનીમાં જે ઘોર સૂનકાર પડ્યો છે તેનો વિચાર કરું છું ત્યારે જ તને જાકારો દઉં છું. તને ખબર છે, તારા પિતા ફરી વાર પરણ્યા નથી. એ એકલે પંડ છે, વીરુ એ સાધારણ માનવી નથી, સંત છે.”
"ત્યાં – ત્યાં મને મા નહીં મળે.”
“મા ! ગુજરાત જેવી જીવત જાગ્રત હાજરાહજૂર મા છેને સૌની?”
“હું એ બધું કેમ કરીને સમજીશ? હું ભણ્યો નથી, ગણ્યો નથી.”
"બેટા ! તારું ભણતર તો તારા લોહીમાં ભરેલું છે. તું અભણ હોત તો તો તેં ક્યારનું માથું ખોઈ બેસીને મારા ને તારી માના કટકા ન કર્યા હોત? એ એક જ લાગણી તને રાજા બનવાને લાયક બનાવે છે. એ તારા બાપનો મહાન વારસો છે; એવડી મોટી શક્તિ અહીં મારા ઘરમાં નહીં સમાય; કાં વેડફાઈ જશે, ને કાં આડે માર્ગે ઊતરી જશે.”
સંધ્યા આથમી ત્યારે બેઉ ઘર તરફ વળ્યા. દેવરાજ પટ્ટકિલે એના હાથમાંથી સાંતી અને બળદની રાશ લેવા માંડી.
“નહીં બાપુ ! મને છેલ્લી વાર ઘર સુધી હાંકી જવા દો.” એવો આગ્રહ રાખીને એ યુવાને બળદ હાંક્યા. બળદને ગળે ટોકરી વાગતી હતી, તેમ પોતાને કંઠે પણ. રાતાં મોતીની માળાની રૂપેરી ઘૂઘરીની સેર ઝીણો ઝીણો રવ કરતી હતી. એ રવ પરથી વીરુ અંધારે પણ પરખાતો.
જુદી જુદી સીમમાંથી સાંતી પાછાં વળતાં હતાં અને ઝાંપામાં પેસતાં જુદે જુદે સાંતીડેથી જુવાનો ટૌકા કરતા હતાઃ
“વીરુ... એ હેઈ વીરુ ! આજ ચાંદો ઊગ્યે સૂરપાટી રમવી છે. ખબર છે ને?”
“કોણ, વીરુભાઈ” બીજાએ કહ્યું, “કાલ મારી જાનમાં આવ્યા વગર છૂટકો નથી હો કે, નકર જોવા જેવી થાવાની."
“એ વીરુભાઈ !" ત્રીજો બોલ્યો, “મોટો પટેલનો છોકરો મૂઓ છો તે ધોળકાની