પૃષ્ઠ:Hind Swaraj.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

(૫) જે વકીલ હોવા છતાં, જેમ વકીલપણું છોડશે, તેમ જડજપણું પણ છોડશે.

(૬) જે દાક્તર હોઈ પોતાનો ધંધો તજશે ને સમજશે કે લોકોનાં ચામ ચૂંથવા કરતાં લોકોના આત્માને ચૂંથી તેનું સંશોધન કરી તેમને સાજા બનાવવા.

(૭) જે દાક્તર હોઇ સમજશે કે પોતે ગમે તે ધર્મનો હોય છતાં જે ઘાતકીપણું જીવો ઉપર અંગ્રેજી વૈદકશાળામઓમાં વાપરવામા આવે છે તે ઘાતકીપણા દ્વારા શરીર સાજું થતું હોય તો પણ તે માંદું રહે તે ઠીક છે.

(૮) જે દાક્તર હોવા છતાં રેંટિયો પોતે પણ લેશે ને લોકો જે માંદા હશે તેમને તેમની માંદગીનું કારણ બતાવી તે કારણ દૂર કરવા કહેશે; પણ નકામી દવાઓ આપી તેમને પંપાળશે નહીં. તે સમજશે કે નકામી દવા નહીં લેતાં તેવાં માંદાનું શરીર પડી જશે તો દુનિયા રંડાવાની નથી, ને તે માણસની ઉપર ખરી દયા વાપરી ગણાશે.

૨૦૯