પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જયભિખ્ખુની શૈલી સંસ્કૃત સાહિત્યના અભ્યાસથી ઘડાયેલી હોઈ આલંકારિક સુશોભનવાળી હોય છે, પણ તેનામાં નૈસર્ગિક ચેતના છે જે તેને જૂની ઘરેડમાં લુપ્ત થતી બચાવે છે. શિષ્ટતા અને સરસતા તેમના મુખ્ય ગુણો છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન શ્રી જયભિખ્ખુની નવલકથાઓ દ્વારા થાય છે.

વાર્તાકાર તરીકે તેમની ખરી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. ઉપરાંત બાળકો અને પ્રૌઢો માટે લખેલી દીપકશ્રેણી, કૂલશ્રેણી અને રત્નશ્રેણીની પુસ્તિકાઓ ઘણી વંચાય છે.

બાળસાહિત્યના અગ્રણી લેખક તરીકે શ્રી જયભિખ્ખુએ સરકાર અને પ્રજા બંને પાસેથી ઉત્તમ પ્રતિષ્ઠા મેળવી છે.

ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તેની પહેલાં પુસ્તકોને સરકાર તરફથી પારિતોષિક આપવાની યોજના થઈ હતી. ત્યારથી તેમના અવસાનના વર્ષ સુધીમાં ભાગ્યે જ કોઈ વર્ષ એવું ગયું હશે જેમાં જયભિખ્ખુને ઇનામ નહીં મળ્યું હોય. કિશોરોને સાહસ કરવા પ્રેરે તેવી વાર્તાઓ તેમણે ‘જવાંમર્દ શ્રેણી’માં આપેલી છે.

ટી. એસ. એલિયટે એક ઠેકાણે કહ્યું છે કે કોઈ કૃતિને મહાન કલાકૃતિ તરીકે મૂલવવી હોય તો તેની કલાની દૃષ્ટિએ કણસી કરવી ઘટે, પણ જો તેને મહાન કૃતિ તરીકે જોવી હોય તો તેમાંથી પ્રગટ થતી જીવનભાવનાની દૃષ્ટિએ તેની પરીક્ષા કરવી જોઈએ. આ ધોરણે તપાસતાં અવેર, સંપ, સત્ય, પ્રેમ, અહિંસા વગેરેનો સંદેશો લઈને આવતી જયભિખ્ખુની અનેક કૃતિઓ પવિત્ર આનંદ અને સંતોષનો અનુભવ કરાવે તેમ છે.

ડૉ. નટુભાઈ ઠક્કરનો આ મહાનિબંધ મારે માટે અંગત રીતે તેમજ અન્યથા વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. મારે માટે એ રીતે કે નટુભાઈનાં લખાણો વર્તમાનપત્રોની કૉલમમાં પ્રગટ થતાં હતાં તેની વાત કરતાં મારા મિત્ર જયભિખ્ખુનું સ્મરણ થઈ ગયું. મેં તેમને એ મતલબનું કહ્યું કે તમારી કૉલમમાં આવતી પ્રસંગકથા, ઘટના કે શૈલી અમારા બાલાભાઈની યાદ