ઇતિહાસમાં બિંબિસાર વિષે પ્રાપ્ત થતી વિગતો નીચે પ્રમાણે છે :
—ભટ્ટિય નામના એક મહાત્વાકાંક્ષી સામંતે પુલકના પુત્રનો વધ કરીને પોતાના પુત્ર બિંબિસારને મગધના સિંહાસન ઉપર બેસાડ્યો.
—સિંહાસન ઉપર બેસતા સમયે એની ઉંમર ફક્ત ૧૫ વર્ષની હતી.
—ઈ. સ. પૂ. ૫૪૩ લગભગમાં તે મગધના રાજસિંહાસને બેઠો.
—જે રાજ્યવંશની એણે સ્થાપના કરી તે હર્ષક વંશ તરીકે જાણીતો બન્યો.
બિંબિસાર એક કુશળ રાજનીતિજ્ઞ અને કૂટનીતિજ્ઞ રાજવી હતો. સામ્રાજ્ય વિસ્તારમાં એ યુગમાં પોતાની શક્તિઓનું સંગઠન કરવાનું એને ખૂબ જરૂરી જણાયું હતું. જો મગધ નબળું હોય તો અવન્તિ કે વત્સનો શિકાર બની જાય. એટલે પોતાની શક્તિને વધારવા તથા દૃઢાવવા વૈવાહિક સંબંધોની નીતિ એણે અપનાવી.
—મહાવગ્ગ અનુસાર બિંબિસારને પાંચસો રાણીઓ હતી એમાં :–
(૧)કોશલના રાજા મહાકૌશલની પુત્રી કૌશલદેવી સાથે એનો વિવાહ થયો હતો. કૌશલદેવી પ્રસેનજિતની બહેન હતી. એ વિવાહથી એને કોશલ રાજ્યની મિત્રતા ઉપરાંત એક લાખની વાર્ષિક આવકવાળું કાશીગ્રામ મળ્યું હતું. કોશલનરેશે પુત્રીને દહેજમાં એ આપ્યું હતું.
(૨)આ ઉપરાંત એણે વૈશાલીના લિચ્છવી રાજા ચેટકની પુત્રી છલના સાથે પણ વિવાહ કર્યો હતો. એ રીતે મશહૂર લિચ્છવીઓની પણ મિત્રતા મેળવી હતી.
(૩)એનો ત્રીજો વિવાહ મદ્રદેશ (મધ્ય પંજાબ)ની રાજકુમારી ખએમાની સાથે થયો હતો.
(૪)એની ચોથી રાણીનું નામ વાસવી હતું જ્યારે પોતાના પુત્ર અજાતશત્રુએ જ બિંબિસારને કેદમાં પૂર્યો હતો ત્યારે આ વાસવી જ છૂપી રીતે પતિ માટે ભોજન લઈ જતી અને એ રીતે એણે પતિનો પ્રાણ બચાવ્યો હતો.