પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આવરણ
૪૭
 


તારકદ્વીપ શું ઘર અજવાળે ? ચાંદાપોળી ભાંગે ભૂખ ?
સ્વર્ગગંગાજળે મુખ શું ધોવાશે ? મળશે શું માયાથી સુખ ?

મૃગજળથી બુઝાશે શું અગ્નિ રે :
જીવ ! ક્યાં લગી આશ એ જગની ?-તારા₀ ૪

નભકુસુમે જઈ ભ્રમર બંધાયો, દહાડે થયો તમભાસ :
આત્મ અનાત્મનો થાય વિવેક ત્યાં છૂટે ત્રિગુણની ફાંસ :

તજી દે ભ્રમણા ડગડગની રે !
જીવ ! ક્યાં લગી આશ એ જગની ?-તારા₀ ૫

જન્મ ને મૃત્યુની વચ્ચે છે જીવન, સિંધુની ઊર્મિનું ફીણ !
મીણબત્તીમાં અદ્દલ જે જળે તે જ્યોતિ નથી કંઈ મીણ :

માની બેઠો તું જે અતલગની રે,
જીવ ! જૂઠી તે માયા છે જગની ! - તારા₀ ૬