પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાલહત્યા


દવાખાનામાં ભારે ઉશ્કેરાટ ફેલાઈ ગયો. નર્સો રૂપાળી રૂપાળી દેખાવાનો પ્રયત્ન ચાલુ રાખીને પણ દોડધામ કરતી હતી. સ્ત્રી ડૉક્ટરો સાથે પુરુષો ડૉક્ટરો પણ આવતા જતા અને ગંભીરતાપૂર્વક ચર્ચા કરતા દેખાતા હતા. દર્દીઓનાં ટોળાં પણ, પાટાપટ્ટી બાંધેલાં હોવા છતાં અવરજવર કરી ટોળે વળતાં હતાં. દવાખાનામાં આવેલા અલગ પ્રસૂતિવિભાગમાં કોઈ અણકલ્પ્યો બનાવ બની ગયો હોય એમ લાગતું હતું. બાલજન્મનો પ્રસંગ નિત્ય પ્રસંગ ગણાય. બાલમરણ પણ છેક અજાણ્યું તો નહિ જ. કદી નૂતન માતાની ગંભીર સ્થિતિ કે મૃત્યુ માણસોને આકર્ષે એ સાચું. પરંતુ કોઈ દેવ કે દાનવના જન્મની જાહેરાત થઈ હોય એવો દેખાવ ત્યાં થઈ રહ્યો તેમ પણ નહિ ! દેવજન્મમાં આવી ગંભીરતા ન હોય; એમાં ઉત્સાહ હોય !

થોડી વારે પોલીસ અમલદાર અને સિપાઈઓ પણ આવી પહોંચ્યા.

કોઈ બાળકની ફેરબદલી થઈ ?