પૃષ્ઠ:Kankavati.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાડોશણો તો સામસામી તાળીઓ દઈને હસે છે. સાંભળીને તો વહુ થંભી ગઈ છે. પૂછે છે : "બાઈયું બેન્યું, આમ કેમ બોલો છો ? મારા સ્વામીનાથ તો કાશીએ ભણવા ગયા છે ને !"

"અરેરે બાઈ, સ્વામીનાથ કેવા, ને કેવી કાશી ! એ તો વાંઝિયાં મૂવાં છે. એ તો તને ભોળવીને લાવ્યાં છે !"

વહુનો તો આનંદ ઊડી ગયો છે. રાંધવા બેઠી ત્યાં દાળ દુણાઈ ગઈ છે, ચોખા કાચા રહી ગયા છે, શાક દાઝી ગયું છે, રોટલી બળી ગ ઈ છે. દાઝ્યું-દવજ્યું રાંધ્યું છે. સાસુ સસરો ના'ઈને આવ્યાં પણ વહુ એ તો પોતિયાં યે લીધાં નથી. કળશા યે ભરી દીધાં નથી. પાટલા યે નાખ્યા નથી ને ભાણાં યે પીરસ્યાં નથી.

ઘેર આવીને ગોર ગોરાણી જમવા બેસે ત્યાં તો રાંધણું બગડેલું જોયું. વહુના મોઢા ઉપર તો મશ ઢળેલી ભાળી.

"અરે વહુ દીકરા ! આજ અણોસરાં શેણે છો ?"

"આજ તો, બાઈજી, હું વાસીદું નાખવા ગઈ'તી. ત્યાં પાડોશ્યણું હસતી'તી. મેં પૂછ્યું કે કેમ હસો છો ? તો કહે કે તારાં સાસુ-સસરાને તો દીકરો જ નથી."

"સારું બાપા ! જે કહેનાર હશે તેને નહિ હોય. મારો પુરુષોત્તમ દીકરો કાશીએ ભણવા ગયો છે."

સાસુ-સસરાએ તો વહુને રીઝવવા સાત ભંડારની કૂંચીઓ સોંપી છે. 'લ્યો વહુ દીકરા! છ ભંડારા ઉઘાડજો; પણ સાતમો ભંડારો ઉઘાડશો મા !'

પહેલો ભંડારો ઉઘાડ્યો છે ત્યાં તો અન્ન-વસતર દીઠાં છે.

બીજા ઓરડામાં વાસણ-કૂસણ દીઠાં છે.

ત્રીજામાં સોનાં-રૂપાં દીઠાં છે.

ચોથામાં હીરા-મોતી દીઠાં છે.

પાંચમામાં નીલમ-માણેક દીઠાં છે.

છઠ્ઠામાં પોખરાજ ને પરવાળાં દીઠાં છે.

પણ સાતમો ઓરડો ઉઘાડવાની સાસુએ ના પાડી છે. એવું તે એમાં શું હશે ? વહુનું મન તો વાર્યું રહેતું નથી. સાતમો ઓરડો ઉઘાડે ત્યાં તો આ હા હા હા! આ કોણ ?

પીળાં પીતાંબર પહેર્યાં છે.
લાલ ચાખડીએ ચડ્યા છે.
મોર મુગુટ ને છત્તર ધર્યાં છે.
હાથમાં પુસ્તકને પાનાં છે.
કંચનવરણી તો કાયા છે.