પૃષ્ઠ:Kankavati.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કંઠસ્થ વ્રત-સાહિત્ય

[‘કંકાવટી' (મંડળ 1નો પ્રવેશક : 1927]

જે ડોશીપુરાણ આજે પાખંડમાં પરિણમ્યું છે, તેની હિમાયત કે ધાર્મિક પ્રચાર ખાતર આ સંગ્રહ નથી.

આ બધું તો શુદ્ધ કંઠસ્થ લોકસાહિત્યની સંશોધનદષ્ટિએ જ સંઘરાયું છે, કેમ કે આ સાહિત્યની અંદર આપણા સામાજિક ઈતિહાસનાં પગલાં પડેલાં છે. એ ધૂળમાંથી આપણે તો સોનું જ ધમવાનું છે. નવા યુગના ચણતર કાજે, લઈ શકાય તેટલી સામગ્રી: પણ આ ખંડિયેરમાંથી લેવાની છે.

શુદ્ધ, કશા પણ સેળભેળ વગરનું શુદ્ધ, લોકસાહિત્ય આટલી દષ્ટિએ તપાસવું ઘટે છે:

1. એમાં સંપૂર્ણ સચ્ચાઈથી પ્રતિબિમ્બિત થતા લોકાચારો, લોકવિચારો ઈત્યાદિ વાટે સમાજના વિકાસના ઈતિહાસનું સંશોધન.
2. ભાષાની ખિલવણી અને સાહિત્યસર્જનની શક્તિનું નિરીક્ષણ.
3. એમાં આલેખાયેલા યુગનાં પ્રેરક બળોનું દર્શન.
4. ધાર્મિક વિપ્લવ જગાવવાને કારણે પ્રજાએ એમાંથી ફગાવી દીધેલાં અમુક

તત્વોનો, નવી યુગદષ્ટિ વડે ધર્મભાવે પણ ફરી કરવો જોઈતો અભ્યાસ.

પ્રાચીન ઈમારતોને રક્ષવામાં, અસલી રાચરચીલાને સંઘરવામાં અને આજની જીવનદષ્ટિએ તો નિરુપયોગી જણાતી એવી સેંકડો સામગ્રીઓના પ્રદર્શનો ભરવામાં જે સર્વદેશીય રસદૃષ્ટિ રખાય છે, તે જ દષ્ટિ રાખીને લગારે સુગાયા વગર આ બધી જીવંત ભાવનાસૃષ્ટિને પણ કેમ ન નીરખીએ ?

ઉલ્લાસ પ્રેરે અને આદર્શ ઘડે

સંશોધનદષ્ટિએ ન જોઈ શકનારને માટે પણ આમાં નરી પરીકથાની મોહક સૃષ્ટિ તો છલોછલ ભરી છે. તદુપરાંત શ્રી ધૂમકેતુએ બતાવેલ દષ્ટિ વિશેષ વિચારણીય છે: