પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૫
ઉપસંહાર

ફકીર પોતાની જગ્યાની આસપાસ કોટ ચણાવીને રહેતો હતો એટલે તે કોટ 'જંદાનો કોટ' કહેવાતો તેમ જ ત્યાં પબુરાઈ નામની એક બીજી પણ તળાવડી હતી. આ સ્થાન કચ્છ દેશના મધ્ય ભાગમાં હોવાથી અને ભુજિયા ડુંગરપર જો કિલ્લો બંધાય, તો શત્રુઓના આઘાતથી બચવાનું સારું સાધન થઈ પડે તેમ હોવાથી જો અહીં રાજધાની થાય, તો વધારે સારું; એવો હજી તો ખેંગાર વિચાર કરતો હતો એટલામાં ત્યાં તેણે એક સસલાને કૂતરા સામે ઘૂરકતો જોયો અને તેથી એ સ્થાનને વીરભૂમિ જાણીને સંવત્ ૧૬૦૫ ના માર્ગશીર્ષ માસની શુકલા ષષ્ઠીને દિવસે શુભ મુહૂર્તમાં એક નગરની સ્થાપના કરી અને તેનું નામ ભુજંગ નગર રાખી તેને પોતાની રાજધાનીનું નગર બનાવ્યું. રા ખેંગાર હવે ભુજમાં જ વસવા લાગ્યો અને તેથી તે નગરની ઉત્તરોત્તર ઉન્નતિ થતી ગઈ. તે નગરના નામનો અપભ્રંશ થતાં તે નગર 'ભુજ' નામથી ઓળખાવા લાગ્યું કે જે નામ અદ્યાપિ કાયમ છે અને અદ્યાપિ એ જ રાજધાની છે. અંજાર નગરની પણ ઉન્નતિ તો થઈ, પણ રાજધાની ભુજ થવાથી તે દ્વિતીય નગર ગણાયું. રાજધાની ભુજ થવાથી રાવશ્રીએ લાખિયાર વિયરો નામક જૂની રાજધાની ચારણોને દાનમાં આપી દીધી. એ પછી એકત્રીસ વર્ષે એટલે કે સંવત્ ૧૬૩૬ માં રાવશ્રીએ માઘ માસની કૃષ્ણ એકાદશીને દિવસે લુહાણા જાતિના ઠક્કર ટોપણદ્વારા રાયપર બંદર વસાવ્યું કે જે અત્યારે 'માંડવી બંદર' નામથી વિશ્વવિખ્યાત છે.

* * * * *

જે સમયમાં કચ્છ દેશમાં રાવશ્રી ખેંગારજી ૧ લો રાજ્ય કરતો હતો, તે સમયમાં સિંધુ દેશમાં મીર મીરજા ઇસાખાન રાજ્ય કરતો હતો અને તેના બાંકેખાન તથા ગાજીખાન નામના બે શાહજાદા હતા. ગાજીખાનને તેના પિતાએ ભાગમાં ભૂમિ ન આપવાથી તે સિંધુદેશને ત્યાગીને કચ્છમાં આવ્યો હતો અને રાવશ્રી ખેંગારજીના આશ્રયમાં રહેતો હતો. ખેંગારજીએ તેની સહાયતામાટે પોતાના બંધુ સાયબજીને કેટલાક સૈન્ય સહિત સાથે મોકલ્યો અને મીરજા ઇસાખાનપર એક પત્ર પણ લખી આપ્યું. જતી વેળાયે સાયબજીને તેણે એવી સુચના આપી દીધી કેઃ “જો મીરજા ઇસાખાન મારા પત્રને માન્ય કરી ગાજીખાનને તેના ભાગની ભૂમિ ન આપે, તો યુદ્ધ કરીને પણ તેને તેના ભાગની ભૂમિ અપાવજો અને વિજય મેળવીને જ પાછા આવજો.” સાયબજી તથા ગાજીખાન જ્યારે નગરઠઠ્ઠાની નજદીક પહોંચ્યા, ત્યારે તેમના આવવાના સમાચાર બાંકેખાન અથવા બાકીખાનને