પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
“ તો આપણે જાપાનીઓ સામે પણ લડશું !”

ફરિયાદપક્ષના છઠ્ઠા સાક્ષી લાન્સ–નાયક ગંગારામ નેવારે કહ્યું:-

૧૯૩૩માં હું હિંદી લશ્કરમાં જોડાયો અને ૧૯૪૨ના ફેબ્રુઆરી માં મલાયામાં યુદ્ધકેદી બન્યો. એક છાવણીમાં કૅ૦ શાહનવાઝ ભાષણ કરવા આવ્યા ત્યારે મેં એમને જોયેલા. એમણે કહેલું કે હિંદુસ્તાન હિંદીઓનું છે. આપણે હિંદની સ્વતંત્રતા માટે લડવું જોઈએ; અને અંગ્રેજોને હિંદની બહાર હાંકી કાઢવા જોઈએ.

ફરિયાદપક્ષના સાતમા સાક્ષી સુબેદાર અસલન્ન ખાને કહ્યું કે-

૧૯૧૩માં હું હિંદી લશ્કરમાં જોડાયેલો. ૧૯૪૨માં મલાયામાં યુદ્ધકેદી બન્યો એ વર્ષના એપ્રિલમાં હું આ૦ હિં૦ ફો૦ માં જોડાયો. લૅ૦ કર્નલ જિલાનીની ગુપ્તચર ટૂકડીમાં હું હતો...... જાસૂસી અને ભાંગફોડના રસ્તાએાની અમને પીનાંગમાં ખાસ તાલીમ આપવામાં આવેલી. ૧૯૪૪ની ૨૭મી ફેબ્રુઆરીએ જાપાનીઓએ એક સબમરીનમાં હિંદુસ્તાન મોકલેલા બાર માણસોમાંનો હું એક હતો. સત્તર દિવસ પછી અમે હિંદને કાંઠે ઊતરવાનો પ્રયાસ શરૂ કર્યો, પણ એમાં નિષ્ફળ ગયા. પછીથી માર્ચની આખરમાં અમે કિનારે પહોંચ્યા અને મેં મારી જાતને બ્રિટિશ સત્તાવાળાઓના હાથમાં સોંપી દીધી.

ફરિયાદપક્ષના આઠમા સાક્ષી જમાદાર સચાસીંઘે જણાવ્યું કે-

૧૯૩૩માં હું હિંદી લશ્કરમાં જોડાયો - સિંગાપુરના પતન વખતે હું ત્યાં હતો. યુદ્ધકેદીઓની એક છાવણીમાં હું હતો ત્યાં લૅ૦ ધિલન અને તેમની સાથે મેજર ધારા આવેલા. મેજર ધારાએ ભાષણ કરતાં કહ્યું કે, ઘણા માણસે આ૦ હિં૦ ફો૦માં જોડાઈ ગયા છે. આ૦ હિં૦ ફો૦ માત્ર હિંદની આઝાદી માટે જ લડશે, બીજા કશાને માટે નહિ. જાપાનીઓ જો આપણી સામો થશે તે આપણે એમની સાથે પણ લડશું. હિંદની આઝાદી માટે લડવાની આ એક સોનેરી તક છે અને આવી તક ફરી પાછી નહિ આવે.