લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૫
વીર સાધ્વી જોન ઑફ આર્ક

 ન્યાયમંદિરનો અધ્યક્ષ પાછો બોલ્યો “અરે ! એ ઘેલછા છે – ઘેલછા છે. આપણે જે કામ કર્યું, તે પાછું બગાડી ન નાખવું જોઈએ. આપણે ડ્યુક ઑફ બરગન્ડી સાથે સભ્યતાથીજ વર્તવુ જોઈએ.”

“અને આપણે વર્તીશું” જોન બોલી.

“કેમ ? કેવી રીતે ?”

“ભાલાની અણીએ !”

બધા ઉઠ્યા; ગાજ્યા. કેટલીક વાર સુધી ગર્જના ચાલુ રહી. રાજા ઉઠ્યો; ગાજ્યો. ખુલ્લી તરવાર જોનને આપી તેણે કહ્યું :–

“રાજા આ તને આપે છે. જાઓ, તમે તેને પારીસ લઈ જાઓ.”

વળી પાછી વીરહાક ગાજી. આમ રાજ્યસભા જોનના વિજય સાથે વિસર્જન થઈ.

****

અર્ધી રાત્રિ વીતી ગઈ હતી, પણ જોનને મન તો તે કંઈ નહોતુ. જ્યારે કાંઈ પણ કામ હોય ત્યારે તે એમાંજ તલ્લીન રહેતી. તેણે સૂઈ જવાનો મનસુબો કર્યો નહિ. સર્વ સરદારોને જોને જૂદી જૂદી આજ્ઞાઓ આપી. હવે ભવિષ્યના યુદ્ધ માટે ધમધોકાર તૈયારીઓ થવા લાગી.

સરદારો ચાલ્યા ગયા, પણ હું જોનની પાસે જ હતો. ફરતાં ફરતાં જોને મને ડ્યુક ઑફ બરગન્ડી ઉપર એક પત્ર લખવા કહ્યું. એ પત્રમાં તેને જલદી તાબે થવા સૂચવ્યું હતું.

બીજે દિવસે જોને પિતાની અને મામાની રજા લીધી. તેઓ સાથે વળી તેણે ભાઇભાંડુઓને આપવા કંઈ કંઈ વસ્તુઓ મોકલી. તેઓ જૂદા પડયા ત્યારે દેખાવ ઘણો દયાજનક થઈ પડ્યો હતો.

સવારે અમે સર્વ વિજયધ્વજો ઉડાવતા ઉડાવતા ચાલ્યા. ત્યારપછી ડ્યુક ઑફ બરગન્ડી તરફથી એલચીઓ આવ્યા. તેઓએ અમારા બે દિવસ પાણીમાં મેળવ્યા. પછી જોન આવી પહોંચી. તેણે તેઓના કેાઇ પણ સંદેશા સાંભળવા ના પાડી; પણ રાજા મંત્રીના તાબામાં હતો, પ્રાર્થના કરવાને બહાને તેણે તેને ત્રણ દિવસ સેન્ટ મારકોલમાં ખોટી કર્યો. શત્રુઓ આ સર્વે વખતનો ઉપયોગ કરતા હતા, પણ રાજાની આંખો ઉઘડી નહિ. રાજાવિના તો અમારાથી આગળ ચલાયજ કેમ ? જો એમ કરીએ તો વળી તે કાવત્રાંખોર મંડળીને વશ થઇ રહે. જોને જ્યારે ઘણા ઘણા પ્રયત્નો કર્યા, ત્યારે સરદારોએ આગળ કૂચ કરવાનું માન્ય રાખ્યું.