પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"આ તો ઓલી ભણેલી ને ? અંહં, ગોંડળ રાજની નિશાળમાં ભણેલી. કે‘ દિ‘ મોળાકતેય નહિ રહી હોય. નાનપણે દેદો કૂટ્યો હોય તો આજ ડીલ વળે ને !"

"બળ્યાં ઈ ભણતર, બાપ ! કુળનો જૂનો ધરમ, રીતભાત, ચાલચીલ - બધાં માથે મીંડું મુકાઈ જાય છે."

"મેં તો મારી પાતડીને એટલા સારુ જ કકા-બારખડી કરાવીને જ ઉઠાડી લીધી." પાર્વતીની બા ચેતી ચૂકેલાં હતાં.

"પણ હવે છાજિયાં લેતી વખતે આ ભણેલીનું શું થશે ?"

"જોયા જેવું થાશે: ધાવશેર લેશે ધાવશેર ! છાજિયાંની છટા તો એવા તિતાલી હાથમાં હોય જ શેની ?"

ચાર વરસ ઉપર કેશુ જ્યારે પરણીને પાછો આવતો હતો ત્યારે ગામમાં વાત ઊડેલી કે એ ચાર અંગ્રેજી ચોપડી ભણેલીને સામૈયામાં ઉઘાડે મોઢે બેસારીને કેશુડો ગામ સોંસરવો નીકળવાનો છે. તે વખતે પણ શેરીએ શેરીનું નાકું છલોછલ હલક્યું હતું. બાઈઓ ઉપરાઉપરી ખભા ઝાલીને જોવા મળી હતી. પણ આ ફજેતીથી ડરી ગયેલો કેશુ લોકોને અચંબામાં ગરકાવ કરતો, ’દિકરો આમન્યામાં રહ્યો ખરો !’ એવી શાબાશી પામતો પોતાની ભણેલીને બેવડે ઘૂમટે ઢાંકીને ઘેર લઈ આવ્યો હતો. તે દિવસે શેરીએ-શેરીએ નિરાશા છવાઈ હતી. પણ આજ કેશુની ભણેલીનું નિરિક્ષણ કરવાનો અવસર આવવાથી તે દિવસનો વસવસો કાંઈક સંતોષાયો ખરો. નાની નવલીની રાંડીરાંડ ફઈએ તો નવલીનો કાન આમળીને એમ પણ કહ્યું કે, "આમ જો આમ, આડા સેંથા લેવાની સવાદણ્ય ! પારકે ઘેર જઈશ તે દિ‘ તારાયે આવા હાલ થશે. સૌ ઠેકડી કરશે. મને સંભારજે તે દિ‘."

એ બધું દીવાટાણે તો પતી ગયું. હવે કારજનો કયો દિવસ ઠરે છે તેની વાટ જોતાં સહુ બેઠાં.

[2]

ઘણાં વર્ષોનું અવાવરુ ઘર પડ્યું હતું. તે ત્રણ નાનાં ભાંડરડાં