પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હશે; પણ તેથી આપણને શું? એ બાપડો તો ચાલ્યો ગયો છે!"

"દાક્તર! નજીક આવો. વધુ કહું." પોતે પાસે જઈને પતિને ધીરે સાદે કહ્યું: "એવી જ આંખો મેં અગાઉ દીઠેલી છે."

"ક્યાં? ક્યારે? કોની?"

"મારા બાપુને ગામ, રોહિણી ટાપુ ઉપર, દસ વર્ષ પૂર્વે. એ જ પરદેશીની આંખો." "દેવી!" દાક્તરનું દિલ વલોવાઈ જતું હતું.

"હવે તમને સમજાશે કે શા માટે મારાથી તમારી સાથે સ્ત્રી-સંબંધ ન રાખી શકાયો: શા માટે હું ભયથી ત્રાસતી દૂર ને દૂર ભાગતી રહી. ફરીવાર એ આંખો મારાથી જોઈ ન શકાત."

[૩]

દાક્તરના ખુલ્લા, બહોળા મકાનને જાણે એક અદૃશ્ય દીવાલ વીંટળી વળી હતી. સુખનાં અજવાળાં એ દીવાલની બહાર ઊભાં ઊભાં અંદર આવવા છલંગો મારી રહ્યાં હતાં. ઘરમાં ચાર જણાં હતાં; પણ પ્રેતો વસતાં હોય એવું ભૂતિયું ઘર બન્યું હતું. હસમુખા ચહેરાઓ અરધું હસી હસીને પાછા કરમાઈ જતા. ગૂંગળાટ જાણે મુક્ત શ્વાસને રૂંધતો હતો. બન્ને દીકરીઓ માબાપનાં શૂન્ય, અગમ્ય મોંઢા જોઈને એકાદ નાના સ્મિતની રાહ જોતી.

*

આજે સંધ્યા છે. ઘરથી થોડે વધુ આઘે - પણ ખાડીની ઊલટી જ બાજુમાં - મોટાં ઝાડોનાં ઝાંખરાં નીચે મોટી પુત્રી અને માસ્તર ઊભાં છે. મોટી બોલે છે કે, "હું ક્યાં જાઉં? શી રીતે છૂટું, માસ્તર સાહેબ! બાપુજીનું શું થાય? નવી બા એની સંભાળ નહિ લઈ શકે. એને ધ્યાન નથી. એ તો ભૂલી પડેલી ગાય છે. બાપુ બિચારા પોતાની આસપાસ આનંદી ચહેરા જોવા ઉત્સુક રહે છે. હું અહીં નહિ હોઉં ત્યારે એ કોના ચહેરા સામે જોઈ આંખો ઠારશે? નવી બાની ગમગીની બાપુને ભરખી જશે."

"પણ અહીં તો દેશ-વિદેશો ભેગા થાય છે; આવો સપ્તરંગી સમુદાય મળે છે. એનાથી શા સારુ તમે તરતાં ને તરતાં રહો છો?"