પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પડી ગઈ. વળી પાછાં પરબતની માએ, શું થઈ રહેલ છે તે દીઠા વિના, આંધળી આંખો અંતરિક્ષમાં મટમટાવતાં અને ટચલી આંગળીનાં બીજા આંકા પર અંગૂઠો માંડીને કહ્યું: "બીજું કાંધું આપણે ભર્યું શેરડીનો વાઢ કર્યો'તો ત્યારે. જો ને: કાનજી શેઠ વાડે ચાર દિ' રોકાણા, ને સંધોય ગળ જોખીને કાંધા પેટે ઉપાડી ગયા. જો ને: આપણે ઘરનાં છોકરા સાટુય મણ ગળ નો'તો રાખ્યો; મેં રાખવાનું કહ્યું ત્યાં કાનો શેઠ કોચવાણા'તા: સાંભરે છે ને ?"

આ દરમ્યાન પરબતે પરોણાના પ્રહારથી ટાઢાબોળ થઈ ગયેલા ખૂંટિયાને ધોંસરામાં ઝકડી લીધો હતો, અને એના કાંધા ઉપરના લદબદ થતા ઘારામાં ધોંસરું રાતુંચોળ રંગાઈ ગયું હતું. માથે બાંધેલા ફાળિયાનો કટકો દુઃખતા પેડુ ઉપર કસકસાવીને ટપકતે પરસેવે પરબતે ગાડું ડેલા બહાર લીધું. હજુ જ્યાં સુધી પેડુમાં પીડા છે ત્યાં સુધી એ પશુ ઉપરથી એની દાઝ ઊતરી નથી; એટલે પૂંછડાના કટકા થઈ જાય એટલા જોરથી એણે ખૂંટિયાનું પૂછ ઉમેળ્યું. ડોશીએ પોતાનું વાળ વગરનું માથું ખજવાળતાં ખજવાળતાં પોતાની પારાયણ ચલાવી:

"પબા, તું જાછ, માડી ? થોડી વાર ઊભો તો રે'. "એ વખતે ડોશીનો અંગૂઠો ટચલી આંગળીના ત્રીજા આંકા ઉપર હતો. "અને ત્રીજું કાંધુ આપણે ઓલ્યા નાગડા બાવાઓની જમાત આવેલ તયેં ભર્યું. જો નેઃ બાવાઓને માલપૂડાની રસોઈ જમાડવી'તી... લાગો ભરવો'તો... ઉઘરાણું થયું. એમાં ભરવા આપણી પાસે કાંઈ નો'તું... તુંને બાવાઓએ મારીમારીને આખો દિ' તડકે બેસાડી રાખ્યો'તો. તે પછી, જો ને, આપણે આપણી ઓતીને ઓલ્યા અરજણ પબાણી વેરે નાતરે દઈ રૂપિયા બસો જોગવ્યા. એમાંથી કાના શેઠનેય કાંધું ભર્યું. મને બરોબર સાંભરે છે: ઓતડી તે દિ' રોતી'તી નહિ ? એને નાતરે નો'તું જાવું: સાંભરે છે ? એટલે પછી આપણે એને મારીને ગાડે નાખી'તી."

પરબત પટેલ રાશ તાણીને ગાડું રોકી સાંભળી રહ્યા. એણે કહ્યું: "માડી ! મારું હૈયું તો ફૂટી ગયું છે: મને કાંઈ નો સાંભરે. હું તો એટલું જાણું કે કાનો શેઠ ખોટું નો કરે. ઈ દિ'માં બે વાર સમાક્ય કરીને બેસનારો ભગતીવંત શ્રાવક પુરુષ છે. એને વેણે તો સૂકાં ઝાડ લીલાં થાય છે. એનો ચોપડો વરસોવરસ પૂંજાય છે. ઈ ચોપડો બોલે તે સાચું. મને તમે મૂંઝવો મા ! મારે વાડીએ રઝકો સૂકાય છે."

એ જ વખતે પોતાની છલકાતી કેડ્ય ઉપર ત્રણસરો કંદોરો શોભાવતા કાનજી શેઠ ખંભે ખેસ અને બગલમાં ખેડૂતના લાલચોલ લોહી જેવો ચળકતો રાતો ચોપડો દબાવીને હાજર થાય છે. એણે બળદની નાથ ઝાલીને પૂછ્યું: "કાં પબા ! આ ચોખ્ખું કરીને પછે જ જાને, બાપ !"

"કાનાકાકા ! મારે વાડીનું પીત સુકાય છે. કાલ્ય ગ્યો'તો વેઠે, એટલે નહિ જાઉં તો રઝકો બળી જાશે. ને બપોરે વાડીમાં પાણી નહિ રહે રે': હરજી વડોદો સંધુંય પાણી એના મોલને પાઈ દેશે. તમે મારી મા હારે નક્કી કરી નાખો; જે કરો તે મારે કબૂલ છે."

એ ઘડીએ કાનજી શેઠની નજર ખૂંટિયાના કાંધ ઉપર પડી. એણે મોં આડો ખેશ દીધો. થૂંક્યું. કહ્યું: "પબા ! એલા, દયાનો છાંટો તો રાખ્ય ! આ ધંધા ! આ ખૂંટિયાને કાંધે ધોંસરું ! આ ગામામાં કોઈ મા'જન મૂવું છે ? કે હાંઉ, બસ, વાણિયાઓનું આથમી ગયું ? આ રાક્ષસનો દંડ કોઈ કાં નથી કરતા ?"

પરબત ઝંખવાયો.

"એ પલીત !" કાનજીએ દયાથી ઘવાયેલ દિલે કહ્યું: "આના કાંધ માથે થોડું ઘાસલેટ તો રેડ્ય !"

"હા, કાનજીકાકા સાચું કહે છે. ધરમી જીવ છે." એમ કહી ડોશીએ સાદ પાડ્યો: "એ વઉ ! આપણા દીવામાંથી ઘાસલેટ કાઢીને લાવજો."

વહુ લાજ કાઢીને આવી ઊભી રહી; બોલી: "ઘાસલેટાનો છાંટોય ક્યાં છે ઘરમાં ? રઝકાનો ભાતો જૂઠા શેઠને ઘેર નાખી આવીશ, તઈં દેશે ને ! ઉધાર ક્યાં આપે છે ?"

"ખોટાં ! નખશિખ ખોટાં કણબાં ! ઘરમાં ઘાસલેટ ન હોય એવું બને ? પણ જીવમાં દયા જેવી જાત્ય જ નહિ ને ! લટૂડાના મા'જનને કહીને આંહીં