કહેલું પણ ખરું કે "તારા પડખાની વાડીવાળો હરજી વડોદો છ મહિને ફાટી પડે એવા મરણ-જાપ કરવા હું બેસી જાઉં - તું જો ખરચ કરી શકે તો !" આમ વ્યાસજીને આ ઘર સાથે ઘાટો વહેવાર હતો. પૂતળી ડોશીને ખાતરી હતી કે, વ્યાસજી તો સોળવલું સોનું છે.
કાનજીએ વ્યાસજીને મારેલ મિચકારા એળે ન ગયા. વ્યાસજીએ કહ્યું: "ના ના, માડી, આ તો વેઠના વારાની ચિઠ્ઠી છે !"
"અરેરેરે માડી ! એમ થયું ? તયેં ઇ ફારગતી ક્યાં મૂકાઈ ગઈ હશે ? આ તો હું સીતેર વરસની ડોશી ખોટી પડી ને !"
"ત્યારે હવે ચોથા કાંધાનું કેમ કરશું, પૂતળીમા !" કાનજી મુદ્દાની વાત પર આવી ગયો.
"ઈ ચિઠ્ઠી લાવજો, ભાઈ !"
"ચિઠ્ઠી ! મેં તમને પાછી આપીને ! તપાસો તમારાં લૂગડાં... મારી પાસે નથી..."
એકાએક પરબતની વહુ લાજના ઘૂમટામાંથી કળકળી ઊઠી: "એ ફૂઈ ! એ... ચિઠ્ઠી કાનાભાઈના મોઢામાં રહી ! એ... ચાવી જાય ! લે ! લે ! કાનાભાઈ ! આ ધંધા !"
પૂતળી ડોશી સજ્જડ થઈ ગયાં: "ચિઠ્ઠી કાનજીભાઈ ચાવી ગયો ? કાનજી દામજીનું ખોરડું ઊતરી ગયું ? વ્યાસજી ! શંકર આવું સાંખી લ્યે છે ?"
"ડોશી ! ઝાઝી વાતનાં ગાડાં ભરાય. ને હવે ચીંથરાં ફાડો મા: ચોથું કાંધું ભરી દ્યો: મારે ખોટીપો થાય છે."
સાંજે પરબત વાડી પાઈને પાછો આવ્યો. રાતે ને રાતે કાનજી શેઠ એનો ગોરીઓ ગોધલો કાંધા પેટે છોડાવી ગયા.
બીજે દિવસે સવારે પરબત જ્યારે પહોર-દિ' ચડ્યે જાગ્યો, ત્યારે ગમાણમાં એકલા-અટૂલા બેઠેલા બંધુહીન ખૂંટીયાનું કાંધ બે કાગડા ઠોલી રહ્યા હતાં.