નવયૌવના અનિમિષ આંખે જીવનમૃત્યુની ભેદાવલિનાં એ ઉઘડતાં પાનાં નિરખી રહી.
જગત્શાણાઓને નથી સ્હમજાયું એ એને ક્ય્હાંથી સ્હમજાય? એની ફાટેલી આંખો ગહનતાને ગહન પ્રશ્નો પૂછતી હતી કે મૃત્યુ એટલે શું ? સ્વામીનાં આયુષ્યનો એ છેલ્લો ભડકો હતો; પત્નીની એ અણહોલવાયેલી ઝાળ હતી.
સ્વામીની ચિતા સન્મુખ એ બાલાનો આત્મા નિજ જન્મભૂમિના ગિરિવર શો દૃઢ થયો.
અગ્નિસાખે દંપતીએ એક પ્રતિજ્ઞા લીધી હતી; અગ્નિ-સાખે આજ પત્નીએ બીજી પ્રતિજ્ઞા લીધી.
માળવામાં પ્રગટેલો એ નવઅગ્નિ પછી સુવર્ણરેખાને ખોળે હોલવાયો.
અગ્નિહોત્રનો અગ્નિ આયુષ્ય સાથે હોલવાય, એમ એ નવઅગ્નિ યે એના આયુષ્ય સાથે હોલવાયો.
'મ્હારે નથી જીવવું ' એટલું જ એનું બોલવું હતું.
માળવાના રણપગથારમાં કે વારાણસીના તીર્થઘાટે ગુજરાતસૌરાષ્ટ્રના સીમાડાના ખારા પાટમાં સતીની પેઠે એક જ ઉચ્ચારતી; ' શા માટે મ્હને જીવાડવા મથો છો ? મ્હારે હવે નથી જીવવું.'