એમ શાને કહો છો જે? મ્હેં પૂછ્યું.
તું નથી જાણતી માટે. એક તો; મ્હારે એકલપેટાએ એ માળા પહેરવી નથી. પરિમલપંખાળો પંખો મ્હને ને ત્હને બન્ને યે તપ્યાંને ટાઢક ઢોળશે. ને બીજું : કરમાશે ત્ય્હારે ત્ય્હારે નીર છાંટીશું એટલે સંજીવની સરખાં નીર કરમાયેલાં ફૂલડાંને પાછાં સજીવન કરશે ને પમરાવશે. કરમાયેલી કાયા ફોરે કાંઇ? કરમાયેલાં ફૂલડાં યે સજીવન થાય એ તો બોરસળીનાં.
હું ઉછળી ને ઉઠી. મ્હેં કહ્યું: જીવ એવો છે ને જીવને એવું છે: સંસારે એવો છે ને સન્તો યે એવા છે. આંગણે આંગણે આ ફૂલઝાડ રોપાવોને? ઘડીએ ને પલકે સંસાર કરમાય છે તે સંજીવન પીતાં શીખે.
હું જાણતી નથી કે સંજીવની કેવી હશે. સંસ્કૃતના પ્રોફેસરોએ એ દીઠી ને ઓળખી હોય તો ભલે. પણ અનુભવવાને ઓછું જ જોવું પડે છે? વણદીઠા વાયુ નથી અનુભવાતા ? - મ્હારા યે આત્માને ત્ય્હારે સંજીવિની છંટાઇ. અને આજ આટાઅટાલે વર્ષે જ્ય્હારે જ્ય્હારે કદિક હવે કરમાઉ છું ત્ય્હારે ત્ય્હારે એ બકુલના વૃક્ષ નીચે બેસું છું, સંજીવિની શોધું છું, ને પામું છું.
સંજીવિની આત્મા જેવી હશે? દેખાય નહિ ત્હો યે અંગમાં નિત્યે વસેલી?