અલૌ મશીબુ' (પ્રભુને જે માણસની જરૂર પડે છે તેનું અહીં કામ રહેતું નથી.)
એક ખૂમચો પડ્યો હતો. તેમાં ટોપરાના ખમણ વગેરેનું કંઇક ખાવાનું બનાવ્યું હતું. આવેતુઓ સહુ એમાંથી મૂઠી મૂઠી લઈને બુકડાવતા હતા.
શોક કરીને પાછાં વળ્યાં ત્યારે હેમકુંવરે વાત કહી કે "ઘરની અંદર બધાં બૈરાંમાં આ જલસાની જમાવટ જણાતી હતી, પણ સોનાકાકીની આંખો ફૂલીને લોલસાં થઈ ગઈ હતી. પોતે જાહેરમાં સૌને ખવરાવતી-પિવરાવતી ને ગમ્મત કરતી હતી. પણ મને મળી ત્યારે એકાંતે એની આંખોમાંથી આંસુનો ઢગલો થઈ ગયો હતો."
રતુભાઈએ કહ્યું: "આખા પીમનામાં જેની હાક વાગે તેવી જવાંમર્દ આ કાકીને પણ કેટલું લાગે છે! કોઈ ન કલ્પી શકે કે આટલી ઉમ્મરે ને આટલા ગૃહસંસાર પછી પણ એ રડે."
"શબને તો પંદર દિવસ ઘરમાં રાખે એમ લાગે છે." હેમકુંવરબહેને ખબર આપ્યા.
"તો તો નીમ્યા રઝળી પડશે." રતુભાઈને ચિંતા થઈ.
"કેમ?" ડૉ. નૌતમે પૂછ્યું.
"પંદર દિવસ સુધી રોજ જ્યાફત ને જલસા ઊડશે."
"મારે તો કાકીને કહેવું હતું કે આવા કુચાલનો ભોગ દીકરીને ન કરી મૂકે." હેમકુંવર બોલી.
"તેં એ ન કહ્યું એ સારું કર્યું. મેં વારંવાર કહ્યું છે ને કે આપણને આ પરદેશી લોકોને સુધારવા જવાનો હક નથી. એ તો અંગ્રેજોને માટે જ રહેવા દઈએ!"
"હજુ તો એ બુદ્ધની પ્રતિમા પર સોનારૂપાનાં પતરાં ચોડવા ચાહે છે."
"બચાડીને ફોલી ખાશે."
"પણ નીમ્યા પોતે જ માને આગ્રહ કરી કહેતી હતી, કે મારી