હાલાં કરો.”
જવાબમાં કશો અવાજ આવ્યો નહીં. ફક્ત એક નિઃશ્વાસ સંભળાયો.
“મા, તમારું નાક ખવાઈ ગયું છે? મારે જોવું છે. કોણ ખાઈ ગયું ?"
"નહીં બેટા, ન જોવાય. આવતો ના હો.”
નાનો બાલક આ નકારને ગણકાર્યા વગર અંદર ચાલ્યો. એની ઝાંઝરી ખખડી એટલે અંદરથી અવાજ થયો : "ન અવાય બેટા લાલા ! બહાર રે'જે ! બહાર રે'જે ! મને ન અડાય.”
આટલું કહેતાં તો નાનો બાલક છેક પાસે પહોંચી ગયો. જ્યાં પહોંચ્યા ત્યાં અસ્પષ્ટ અજવાસ હતો. જઈને એ ત્યાં બેઠેલાં દાદીમાના ખોળામાં ચડી બેસી ગયો.
દાદીમાએ મોં ઉપર ઓઢી લીધું. હાથનાં આંગળાં છુપાવી દીધાં. ઉપરાઉપરી પોકાર કરવા લાગી : “તને વળગશે ! બેટા, તને વળગશે ! તું ન અડતો મને.”
“હી–હી–હી–હી મા,” નાના બાળકને જાણે કે ઘણા દિવસ પછી પોતાનું કોઈ ગુમ થયેલું રમકડું જડી ગયું. દાદીમાનો ઘૂમટો પણ ખોલાવવા એ ખેંચાખેંચ કરવા લાગ્યો : “ઉઘાડો, મા. ઉઘાડો. મોઢું ઉઘાડો !”
"લાલા, બેટા, કોઈને કહી ન દે તો ઉઘાડું.”
“નહીં કહી દઉં. ઉઘાડો.”
દાદીમાએ ઘૂમટો ખોલ્યો. એ મોં ઉપરથી મૃત્યુએ બટકાં ભરી લીધાં હતાં. રસી અને લોહી ટપકતાં હતાં. દુર્ગંધની મિજબાની ઉડાવતી માખીઓ બણબણવા લાગી.
બાળકે એક નવીન જ ચહેરો દીઠો. એણે દાદીમાને વેશપલટો કરીને બેઠેલ દીઠાં. મા, મા કરતા એ ભેટી પડ્યો.
બરાબર એ જ વખતે રત્નેશ્વરની ગુફાએથી કેદાર આવી