લહેરો આવતી હતી તેથી તો નહોતી લોભાઈ હું?’
અમર પરસાળ પર ચડી ગઈ પ્રશ્નમાળા ખંડિત બની. પોતે એારડે જઈને સંત દેવીદાસના શરીરે ભસ્મ ઘસવા લાગી.
પરોઢિયું હજુ નહોતું થયું. પરોઢ જ્યારે નજીક હોય છે ત્યારે અંધકાર ઘાટો ઘૂંટાય છે. એવી કાળી ઘટામાં દેવીદાસે શુદ્ધિમાં આવી નેત્ર ખેલ્યાં. પહેલો જ પ્રશ્ન એણે એવો કર્યો:
"સંતો ન રોકાણા ?”
"કોણ સંતો ?”
"બે જણા મને મૂકવા આવેલા ને ?”
"હા, એમણે નામઠામ આપવાની ના કહી.”
"તેં ન ઓળખ્યા બેટા ?”
"હું કેમ કરીને ઓળખું ?”
દેવીદાસે મોં મલકાવ્યું :
“અમરબાઈ, એક હતો ઇસ્લામી સાંઈ નૂરશાહ, અને બીજા હતા હિન્દુ જોગી જયરામશાહઃ રામનાથની જગ્યાવાળા.”
"તમને એ ક્યાંથી ઉપાડી લાવ્યા ?”
"ઠેઠ ગિરનારમાંથી. કઈ જગ્યાએ હું પડ્યો હઈશ તેની તો ખબર નથી, કેમ કે મને લઈ જનારાઓએ મારી આંખે પાટા બાંધ્યા હતા.”
"તમને કોણ લઈ ગયેલા ? શા માટે લઈ ગયેલા? ને આ આખે શરીરે કોણે કાળો કોપ કર્યો?”
"દીકરી !” દેવીદાસે અપાર વેદનાઓની વચ્ચે શાંત મલકાટ કરીને જવાબ દીધો : “દુ:ખ દેનારાઓના ચહેરાને ભૂલી જવાય છે. એનાં નામઠામ યાદ રહેતાં નથી. મારી યાદશક્તિ બુઠી બની ગઈ છે. અને વળી બેટા ! મને મરેલ જેવાને ખોળી કાઢી આંહીં સુધી ઉપાડી લાવનારાં એવાં બે મંગળમય નામને યાદ કરું છું, એટલે તો સંતાપનારાઓને આશિષો