આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ એકત્રીસમું
૨૪૮
એટલું બોલીને સાંઈનો દેહ ઝુકી પડ્યો.
તે પછી થોડા વર્ષો સુધી અમદાવાદના રસૂલાબાદ પરાંમાં, સંત શાહઆલમની જગ્યામાં, ભરપૂર મેદણી અને દરવેશોના સમૂહની વચ્ચે એક મુસ્લિમ બેસતો, એનું નામ ખાનજહાં હતું. સમુદાય વચ્ચે એ ડાહી ડાહી ઇસ્લામ ધર્મ વિષેની વાતો કરતો, એની બાંગ-પુકારમાં સંગીતભરી ભવ્યતા હતી, ઇસ્લામની તત્ત્વલોચનામાં એને એ સંત-સ્થાનમાં કોઈ ન આંટી શકતું.
—પણ કોઈ કોઈ વાર એ એકલો પડતો, વિચારે ચડતો, નૈઋત્ય ખૂણામાં મીટ માંડતો, ને પછી એ છાતીફાટ રડતો, પોકે પોક મૂકીને બોલતો—
'ઓ ગિરનાર ! ઓ ગંગાસ્નાન ! ઓ સોમનાથ ! ઓ મારી દેવડી !
'હેઠ નબળા દિલના વટલેલ !' કહી એને સુલતાન ટોંણાં મારતો ઈસ્લામ સંબંધી એની ડાહી વાતો મશ્કરીને પાત્ર થતી. આખરે એક દિવસ એ મુવો, ત્યારે એની લાશ પર સુલતાને ભવ્ય કબર ચણી. એ કબર આજે પણ છે. એ છે રા' માંડળિકની કબર.