પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાર્લમેંન્ટોની સત્તા તો શું, હસ્તીયે હોતી નથી. છેલ્લાં એકવીસથીયે વધારે વર્ષોથી આટલી સીધીસાદી વાત લોકોને ગળે ઉતારવાને હું મથ્યા કરું છું. સત્તાનો અસલ ભંડાર તો સત્યાગ્રહ અથવા સવિનય ભંગની તાકાત છે. એક આખી પ્રજા પોતાની ધારાસભાના કાયદાઓ પ્રમાણે ચાલવાનો ઈનકાર કરે, અને એવા સવિનયભંગના પરિણામો વેઠવાને તૈયાર થાય તો શું થાય તેની કલ્પના કરો! એવી પ્રજા સરકારના ધારાસભાના ને વહીવટી તંત્રને આખું ને આખું થંભાવી દેશે. સરકારનું , પોલીસનું ને લશ્કરનું બળ, ગમે તેવી જબરી હોય તો પણ લઘુમતીને દબાવવા પુરતું જ કામ આવે છે. પણ આવી પડે તે બધું સહન કરવાને જે આખી પ્રજા તૈયાર હોય તેના દ્રઢ સંકલ્પને નમાવવા કોઈ પોલીસની કે કોઈ લશ્કરની જબરદસ્તી કામ આવતી નથી.

વળી પાર્લમેન્ટની પદ્ધતિનો રાજવહીવટ પાર્લમેન્ટના બધા સભ્યો વધુમતીથી થયેલા નિર્ણયોને તાબે થવાને ખુશી હોય તો જ ઉપયોગી થાય છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે પાર્લમેન્ટની રાજ્યપદ્ધતિનો વહીવટ પરસ્પર અનુકૂળ સમૂહોમાં જ ઠીક ઠીક કામ આપે છે.

હવે અહીં હિંદુસ્તાનમાં બ્રિટિશ સરકારે કોમી ધોરણે અલગ અલગ મતદારમંડળો ઊભાં કર્યાં છે ને તેને લીધે જેમનો પરસ્પર મેળ ન ખાય એવા આપણા કૃત્રિમવાડાઓ બંધાઈ ગયાં છે; અને તે વ્યવસ્થામાં આપણે પાર્લમેન્ટની પદ્ધતિના રાજવહીવટાનો ડોળ કરવા આવ્યા છીએ. આવા પરસ્પર મેળ વગરના જુદા જુદા કૃત્રિમ ઘટાકોને એક જ તખ્તા પર સમાન કાર્ય ને માટે ભેગા કરવાથી જીવન્ત એકતા કદી સિદ્ધ થવાની નથી. આ જાતની ધારાસભાઓ મારફતે રાજવહીવટનું કામ ગમે તેવું પણ ગબડતું રહે છે એ ખરું ; પણ તેમના તખ્તાઓ પર ભેગા થઈને આપણે અંદર આંદર ઝગડ્યાં કરવાના ને જે કોઈ આપણા પર હકૂમત ચલાવતા હોય તેમની પાસે થી વખતો વખત મળતા સત્તાના ટુકડાઓ વહેંચી ખાવાને તલપ્યા કરવાના . પેલા હકૂમત ચલાવનારાઓ આપણને સખત હાથે કાબૂમાં રાખે છે ને પરસ્પર વિરોધી તત્વોને બાઝી પડતાં રોકે છે. આવી નામોશીમાંથી પૂર્ણ સ્વરાજ પ્રગટ થાય એ વાત હું અસંભવીત માનું છું.