પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
છતાં વાણીસ્વાતંત્ર્યના ચોક્કસ મુદ્દા પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી. સવિનયભંગની લડત કોઈ એક મોઘમ હેતુને માટે, જેમ કે, પૂર્ણ સ્વરાજને માટે ન થઈ શકે. લડતની માગણી ચોક્કસ, સામા પક્ષને સ્પષ્ટ સમજાય તેવી ને તેનાથી પૂરી પાડી શકાય તેવી હોવી જોઈએ. આ પદ્ધતિ જો બરાબર અમલમાં મુકાય તો આપણને ઠેઠ આપણા અંતિમ લક્ષ્ય સુધી જરૂર લઈ જાય.

અહીં સવિનયભંગનું આખું ક્ષેત્ર અથવા તેની બધી શક્યતાઓની તપાસ મેં માંડી નથી. વાચકને રચનાત્મક કાર્યક્રમ અને સવિનયભંગનો સંબંધ સમજવામાં કામ આવે તેટલા ખાતર જેટલો છેડવો જોઈએ તેટલો જ તે વિષય મેં અહીં છેડ્યો છે. અહીં ગણાવેલા પહેલા બે દાખલાઓમાં મોટા પાયા પરની રચનાત્મક પ્રવૃત્તિની જરૂર નહોતી, ને હોય નહીં. પણ કાયદાના સવિનયભંગ મારફતે પૂર્ણ સ્વરાજ સિદ્ધ કરવાનો આશય હોય તો પહેલેથી તૈયારી કરવાની જરૂર રહે છે અને તે તૈયારીને જે જે લોકો તે તે લડતમાં ભાગ લેતા હોય તેમના સહેજે દેખાય તેવા તેમ જ બરાબર સમજપૂર્વક આદરેલા પુરુષાર્થનો આધાર હોવો જોઈએ. આ રીતે સવિનયભંગ લડત લડનારા લોકોને ઉત્સાહ ને સામાવાળાને પડકાર આપે છે. વળી વાચકને એટલું સમજાયું હશે કે પૂર્ણ સ્વરાજની સિદ્ધિ માટેની સવિનયભંગની લડત આપણી કરોડોની વસ્તીની રચનાકાર્ય માટેના સહકાર વિના કેવળ મોટી મોટી ને ખાલી બડાશોનું રૂપ લે છે ને તદ્દન નકામી બલ્કે નુકસાનકારક છે.