ઢાળ
શ્રીહરિ તજી કલ્યાણ ઇચ્છે, બાળ અવરાધાર;
જ્યમ શ્વાન પુચ્છ ગ્રહી ધરે, મન જવા સાગરપાર. ૩
એ સર્વ વાતો વેવલાં છે. મનભ્રમવા વ્યર્થ,
એક કેવળ શ્રીહરિશરણ વણ, નથી સર્યો કોઇનો અર્થ. ૪
શ્રીકૃષ્ણ શ્રીમુખ કહ્યું બહુ, 'પ્રિય મુને દાસ અનન્ય;
અતિ દુરાચારી તદપિ સાધુ, શ્રેષ્ઠ માહારે મન્ય.' ૫
વળિ કહ્યું હારીતસ્મૃતિમાં પાંડવી ગીતામાંહે;
તે વચન કેરો અર્થ માત્રજ, લખું છું હું આંહે. ૬
'નમવું નહિ અન્ય દેવને, નિરખવા નહિ ન પ્રસાદ;
મંદિર જવું નહિ યદપિ, કોઈની પડતી હોય મરજાદ. ૭
વદવું સ્મરવું સેવવું, ચિંતનાશ્રય શ્રવણાદિ;
અન્યનું ન કરવું દયા પ્રીતમ, કૃષ્ણ રસ જે સ્વાદી.' ૮
પદ ૨૧ મું
વિશ્વ સકળ છે હરિનું રૂપજી, એકાંશે વ્યાપક વ્રજભૂપજી;
કરતા હરતા પોષક સ્વામીજી, સહુ ઘટવાસી અંતરયામીજી. ૧
માટે કોઈનો દ્રોહ ન કરવોજી, હરિ દુખાશે એ ભય ધરવોજી;
જે તે રીતે કોઈ તનુધારીજી, સુખી કરતાં ખુશી કુંજવિહારીજી. ૨