પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૭
મીરાંબાઈ



“રાણાજી મેવાડા મારો કાંઈ કરલેસી
મેં રસિયો રામ રિઝાવા એમાં; રાણાજી મેવાડા.
રાણાજી રૂસેગા તો ઘર જાવેગા,
રામ રૂસ્યાં મર જાવાં એમાં; રાણાજી મેવાડા.”

અર્થાત્ કે, “મેવાડપતિ રાણાજી મને શું કરી શકવાના છે? હું તો પરબ્રહ્મ પરમેશ્વરને રીઝવી રહી છું. રાણાજી નાખુશ થઈને ઘર બહાર મને કાઢી મૂકશે, પણ પરમેશ્વર રિસાશે તો મારું મોતજ આવશે.”

રાણાજીએ હવે ક્રોધના આવેશમાં આવી જઈને એક કાળા ઝેરી સાપને સુંદર પેટીમાં પૂરીને એ પેટી મીરાંબાઈની પાસે એક દાસીની સાથે મોકલાવી આપી તથા કહેવરાવ્યું કે, “હું તમારી દૃઢ ભક્તિ જોઇને ઘણો પ્રસન્ન થયો છું અને આ કિંમતી રત્નોનો હાર તમારે માટે ભેટ તરીકે મોકલું છું, તેને કંઠમાં ધારણ કરજો.” મીરાંએ ઘણા આશ્ચર્ય સાથે પેટીનું તાળું ઉઘાડીને હાર કાઢવા સારૂ હાથ ઘાલ્યો. હાથ ઘાલતાંવારજ વિષમય સર્પે તેને દંશ દીધો; પણ મીરાં તો એથી જરા પણ ગભરાઈ નહિ. એણે તો એ વખતે નીચેનું પદ ગાયું:—

“સાપ પિટારો રાણાજીને ભેજ્યો,
ચંદનહાર વણાસ્યા એમાં.”

અને પોતાના ઈષ્ટદેવતા રણછોડજીનું સ્મરણ કરીને એ ઝેરી સાપને પણ મીરાંએ ફૂલની માળાની પેઠે ગળામાં ધારણ કર્યો.

સદ્‌ભાગ્યે એ સર્પના ઝેરની કાંઈ પણ અસર મીરાંબાઈના ઉપર ન થઈ. સર્પ કરડ્યાથી પણ મીરાંબાઈ ન મરી, ત્યારે રાણાજીએ બીજી યુક્તિ શોધી કાઢી. એક સોનાના પ્યાલામાં વિષ ઘોળીને એ પ્યાલો મીરાંબાઈની પાસે મોકલાવી કહેવરાવ્યું કે, “આ શ્રી રણછોડજીનું ચરણામૃત છે, એને પી જજો.” ચતુર મીરાંબાઈ સમજી ગઈ હતી કે, આ ચરણામૃત નથી; પણ મને મારી નાંખવા સારૂ મોકલેલું હળાહળ વિષ છે, છતાં પણ એણે તો નીચેનું પદ ગાઈને ચરણામૃત પી લીધું:—

“વિષકો પ્યાલો રાણાજીને ભેજ્યો,
ચરણામૃત કર પીસા એમાં.”