ઘડાયલા કાયદાનો અર્થ કરે, શાસનદારો–અમલદારોનું કાર્ય જરૂર પડે કાયદેસર છે કે નહિ તે ઠરાવે અને એક પ્રજાજન તથા બીજા પ્રજાજન વચ્ચેના ઝઘડા અને મતભેદો કાયદા પ્રમાણે પતાવે.
રાજ્યના ત્રણે ઉદ્દેશો સિદ્ધ કરવા મથતા શાસનતંત્રનો એક ધર્મ એ છે કે ઉદ્દેશસાફલ્યમાં વિઘ્ન નાખનાર તત્વોની માહિતી રાખવી અને એ માહિતી અનુસાર રાજનૈતિક પગલાં લેવાં, વિધ્ન નાખનાર તત્ત્વ રાજ્યની અંદર પણ હોય છે અને રાજ્યસીમાની બહાર પણ હોય છે, એ બંને તત્વોનો સામનો કરવા માટે બે પ્રકારના ઈલાજ રાજ્યતંત્રે શોધ્યા છેઃ
(૧) શાંતિમય ઉકેલ.
(૨) બળપૂર્વકનો–હિંસક ઉકેલ, જે માટે પોલીસ અને સૈન્ય બંનેનો ઉપયોગ કરવામાં આવે છે.
યુદ્ધનો શોખ માનવજાતને ઘણો છે. સત્તા ગર્વિષ્ટ રાજયકર્તાઓ અને પ્રજાઓ નિર્બળ પ્રજાઓને યુદ્ધથી સતત દાબમાં રાખવા મથે છે. પરંતુ યુદ્ધ મોટે ભાગે જીતનાર તથા હારનાર પ્રજાના જીવનની ખાખાખીખી કરી નાખે છે. અને જે પ્રશ્નો ઉપર ઝઘડો થયો હોય તે પ્રશ્નનો ઉકેલ ભાગ્યે જ લાવી શકે છે. યુદ્ધની અનેકાનેક મર્યાદાઓ છે એમ ધીમે ધીમે માનવજાતને સમજાતું ગયું છે એટલે રાજ્યો ન છૂટકે યુદ્ધમાં ઉતરે. બની શકે ત્યાં સુધી શાંતિમય ઉકેલના માર્ગ શોધવાની પ્રથા પ્રાચીનકાળથી ચાલતી આવી છે. યુદ્ધ કરવું હોય તો પણ અને શાંતિમય માર્ગ લેવો હોય તો પણ ઉપયોગમાં આવે તેવી પરદેશ સાથે સંબંધ ધરાવતી રાજકીય સંસ્થા રાજકારણે વિકસાવી છે જેને પ્રણીધી મંડળ – પ્રતિનિધિ મંડળ – એલચી મંડળ – એસેમ્બલી જેવા શબ્દથી ઓળખીએ છીએ. યુદ્ધ માટે તેમજ શાંતિમય ઉકેલ માટે બે પ્રકારનું તંત્ર નિયોજવામાં આવે છે:
(૧) ચર–ગુપ્તચર જાસૂસ તંત્ર.– Spies, Espionage.
(૨) પ્રતિનિધિ મંડળ–એલચી મંડળ–વિષ્ટિ મંડળ.
ગુપ્તચરની સંસ્થા પ્રાચીન કાળથી આજ સુધી બહુ ઉત્તેજક પ્રસંગો ઉપજાવી રહી છે અને આજનાં સુધરેલાં રાજ્યો પણ આ