પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦


ખાચર--“ એ તમારે માથે ઈશ્વરની કૃપા સમજવી કે સાહેબ લોક ને તેમનાં માણસે સાથે મારામારી થવા વખત નથી આવતો. પણ આવો શીળો દિવસ રોજ નહી ર્‌હે, માટે સાંભળી લ્યો. ચક્રવર્તી ને ગવર્નર ને કલકત્તાવાળા તો છેટે રહ્યા. પણ આ પાસેના સાહેબોમાં બે બહુ સારા આવે તે બે બહુ નરસા આવે છે; બે બહુ ડાહ્યા આવે તો બે બહુ મૂર્ખા આવે છે. એમનો ઢંગધડો કંઈ નહી; એક આમ હાંકે, ને બીજો આમ હાંકે. ત્યારે આપણે જેવાની સાથે તેવા થવું પડેછે. એમનું સુખ એ કે તુમારીયાંથી સરકાર સાથે કામ લે ને નઠારો સાહેબ બે નરસાં તુમારીયાં તમારે માટે સરકારમાં મોકલી જાય તો સારો સાહેબ બે સારાં મેાકલી જાય. આપણે એવા શા હઈએ કે એ સઉમાંથી કોઈ આપણા વળનો થાય નહી? માટે હમેશ એટલી સરત રાખવી કે વારાફરતી કોઈ કોઈ સાહેબ આપણે માટે સારાં તુમારીયાં લખતો જાય. પછી સરકાર તો તુમારીયાંની આંખે સઉ વાંચે, એટલે બે વાર નાખુશ થાય તે બે વાર ખુશ થાય અને વિચારે કે જ્યારે એક આપણું સારું બોલે છે ત્યારે બીજા તુમારીયાના લખનારની આંખમાં જ કંઈ કાણું હોવું જેઈએ. આટલું થયું એટલે આપણે જીત્યા.”

“બાકી તો એક સાહેબ કુદે ને રાતોપીળો થાય ત્યારે મનમાં સમજવું કે તું જવાનો ને હું ર્‌હેવાનો છું, બે દિવસ દારૂ પી લે. ગાંડાં ક્‌હાડે તે વેઠવાં, પણ સામે ઘા કરવો નહી.”

“એ લોક મૂર્ખા હોય તો પણ તેમની કલમ જબરી ને તુમારીયાંમાં આપણે એને પ્હોચી વળીએ નહી; જબરી વિદ્યાવાળાથી છેટે જ નાસવું, કારણ એ લોક વગર ઘાયે હણે. એમનાથી છેટે હઈએ માટે આપણને એમને ઘા પ્હોચશે નહી એમ પણ ધારવું નહી*[૧] - સરકાર પાસે એમના કાન; દેખીયે નહી ને ઘા કરે.”

“એમ કરતાં સામાં થવું હોય તો ધડી વાર વીસામો લેઈ વિચાર કરવો કે આપણો હાથ કેટલે પ્હોચશે. જે નદીને પેલે પાર તરી જવાનો વિશ્વાસ હોય નહી તે તરવાને પાણીમાં પડવું જ નહી. કોઈની પાસેથી એવું ખુંચી લેવું નહી કે આપણા હાથમાં આવેલું


  1. *पण्डितेन विरुद्धः सन् दूरस्थोऽस्मीति नाश्वेसेत् ।
    दीर्धो बुद्धिमतो बाहू याभ्यां हिंसति हिंसित:॥ મહાભારત, શાંતિપર્વ.