“અલકબ્હેન ! અલકબ્હેન ! આમ શું કરો છો ! તમે મ્હારે માટે
કેટલું કલ્પાંત કરી મુક્યું હશે તે આ જોઉંછું ને જાણી જાઉંછું.
પણ તમે તમારા ભાઈની સાથે મ્હારી બાબતમાં લ્હડશો નહી હો !
હું જાણું છું - કે - લ્હડ્યા વિના તમારાથી ર્હેવાવાનું નથી, પણ હવે
એમને બીચારાને સુખે જંપીને બેસવા દેજો. મ્હેં એમના સુખનો
માર્ગ મોકળો કરવાને જ આ કરેલું છે.”
- “ને કરંતો મન્દ ઘુંઘાટ ભર આનન્દશું,
- “ફેંકી તરંગો મુજ ભણી ધીમે ધીમે નાચંત શું ?”
“કુસુમમાળાની આ કડી મ્હેં સમજાવી ત્હારે અલકબ્હેને એમજ કર્યું હતું – ને એટલામાં પિતાજીએ બારીમાં ડોકીયું કર્યું કે બ્હેન શરમાઈ ગયાં હતાં.”
“અહો પૂજ્ય પિતાજી ! ઉજાગરા કરી કરી, શિરસટ્ટાનાં જોખમ વ્હોરી વ્હોરી, તમે કીનારે આવ્યા ત્યાં મ્હેં તમને ડુબાડ્યા જેવું જ કર્યું ! તમારું મહાન્ ઘર મુકી હું અહીંયાં આવી ને તમારા પવિત્ર યશને લાન્છન લગાડ્યું ! મ્હેં અભાગણીએ તમને લાજ લગાડી ! તમને ડુબાડ્યા !”
તે નીચું જોઈ રહી. થોડી વારમાં એનું મન પાછું ચસક્યું ને બીજે સ્થાને દોડ્યું.
“સરસ્વતીચંદ્ર ! શું તમે ડુબશો જ ! શું તમે હતા તે સ્થાને નહી જ ! જાવ ! શું તમારા દુર્ભાગ્યની હું સાધન જ થઈ? ”
- “કોઈને નામે કોઈ તરે છે, કોઈ ડુબે ને ડુબાડે !
- “હું ચાણ્ડાલિની ડુબું ડુબાડું ! જ્યાં જઉં ત્યાં હાડે હાડે !
- "લક્ષણવતીનાં ચરણ અડકતાં નવપલ્લવ કોઈ વેલી થતી,”*[૧]
- “હું જ અમંગળ શ્વાસ લઉં ત્યાં લીલી વેલીયો બળી જતી !
- “શાને જન્મ દીધો મુજને? પત્થર હું નહીં પેટ પડી !
- "મરણ શરણ પણ ન લખ્યું લલાટે ! પનેતોં હું તુજ લોહ તણી!”
અત્યારે અર્ધચંદ્ર મધ્યાકાશમાં આવ્યો હતો. ઘોળી ઘોળી વાદળીયો
ક્વચિત તેની આશપાસ તો ક્વચિત તેના ઉપર થઈને ચાલી
- ↑ * લક્ષણવતીનાં પાદપ્રહારાદિથી અશોક વગેરે સપુષ્પ થાય છે એવી જુના કવિઓની કલ્પના છે.