ભક્તિમૈયા બોલી ઉઠીઃ “ એમ છે ત્યારે ચાલો તમે જ આરંભ કરો,
“ અને તમારા હદયની વાસના બ્હાર નીકળી માજીના ચરણને પામે એવી ગરબી તમે જ ગાવ અને માજીને અર્પો.”
“ હા ! હા ! “ સઉ બોલી ઉઠયાં.
કુમુદસુંદરી સાંભળી રહી, થોડી વાર નિરુત્તર રહી, એના ઉત્તરની વાટ જોઈ સઉ એના સામાં જોઈ રહ્યાં, અને કુમુદસુંદરીએ આંખો મીંચી, અને પછી નિદ્રામાંથી બોલતી હોય તેમ ઝીણો સ્વર ક્હાડી, આંખો ઉઘાડી, માતાના ચરણ એક ટશે જોઈ રહી, હાથ જોડી, ગાવા લાગી, ગાતાં ગાતાં રોવા લાગી, રોતાં રોતાં ગાવા લાગી, અને એના આંસુના પ્રવાહ પાછળ એનો સ્વર નીકળે છે કે સ્વરના પ્રવાહ પાછળ આસું નીકળે છે તે કળાઈ શકાય એમ ન હતું. સર્વ સ્ત્રીઓ બેઠી બેઠી એની ગરબી ઝીલવા લાગી, અને સાથે એના શોકને, એનાં આંસુને અને એના રોવાને પણ, ઝીલવા લાગી !
- “ માજી ! મને કોઈ જોગી મળ્યો ને વાત કરીને વાહી !
- “ ભોગી ભ્રમર હું, તું મુજ કમલિની એમ કરીને સાહી. માજીo”
સરસ્વતીચંદ્ર પિતાને ઘેર એકાંતમાં મળ્યો હતો તે કાળ સ્મરણમાં ખડો થયો, એની અને પોતાની વિશ્રમ્ભકથાઓ સાંભરી, અને પાછળનો પત્રવ્યવહાર મસ્તકમાં તરી આવ્યો. તેની સાથે અકળાઈ ને ગાવા લાગી.
- “ દિવસ બધો કોમળ ગુંજારવ મુજ સરવર પર કીધો;
- “ હૃદય ઉઘાડ્યું મ્હેં મૂર્ખીએ, વાસ ધુતારે લીધો ! માજીo ”
સરસ્વતીચંદ્રે કરેલા ગૃહત્યાગનો પ્રસંગ અને તે પ્રસંગે પોતાના ઉપર સોનેરી અક્ષરે લખેલો – આજ સુધી છાતી સરસો રાખેલો શ્લોક – દૃષ્ટિસમક્ષ ઉભો, ને ગરબી વાધી.
- “ રાત પડી ત્યાં રૂપ પ્રકાશ્યું ! જોગી કહે “ હું ન ભોગી !
- “ પંક વીશે તું જન્મી અભાગણી ! નહીં આપણ સંજોગી ! માજીo.
- “ રાત વીશે તું રહીંશ બીડાયલી ! પાંખ ન મ્હારી બીડાતી
- “ રહે સંતોષિણી ! રંક અભાગણી ! પાંખડી તુંજ મીંચાતી”! માજીo
- “ માજી ! મને એ જોગી આટલું કહી ગયો કંઈ ચાલી;
- “ હું સંતોષી દુખીયારીને ભુરકી એણે નાંખી, માજીo
- “ માજી ! મને એ સ્વપ્ને આવે, લત ભુંડી બહુ લાગી,
- “ ન મુકે પલ્લો૧.[૧], પ્હેરે ભલ્લો૨.[૨], શરમ વિનાનો ત્યાગી. માજીo