પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮


પ્રકરણ ૬.
સરસ્વતીચંદ્રની અશ્રુધારા.
“And the Raven, never flitting, still is sitting, still is sitting
“On the pallid bust of Pallas, just above my chamber door;
“And his eyes have all the seeming of a demon's that is dreaming,
“And the lamp-light, o'er him streaming, throws his shadow on the floor,
“And my soul, from out that shadow that lies floating on the floor, “Shall be lifted– never more!”– Edgar Allan Poe.

વિષ્ણુદાસ પોતાના મંડળ સાથે અલખ જગવવા પર્વત ઊપરથી ઉતરી નીચે ગયા હતા ત્યાં તેમની ગુફામાં સરસ્વતીચંદ્ર એકલો પડ્યો હતો અને વિહારપુરી તથા રાધેદાસે આણી આપેલા પત્રોનું પોટકું ઉઘાડી તેમાં ડુબી ગયો હતો.

બ્હારવટીયાઓએ ચંદ્રકાંતને લુટી એના સામનમાંથી હાથ આવેલા સર્વ કાગળો માર્ગમાં ફેંકી દીધા હતા તે બાવાઓએ ઉપાડી લેઈ આણ્યા હતા. સરસ્વતીચંદ્રના હાથમાં આજ એ પત્રો આવ્યા અને એકાંત મળતાં મંત્રસંયોગ જેવી સિદ્ધિ પામી એ પત્રામાં ડુબો.

ચંદ્રકાંત સરસ્વતીચંદ્રનો પરમ મિત્ર હોવા છતાં, દ્રવ્યસુખી મિત્રના સુખસરોવરમાં દુઃખમહાસાગરનું ખારું પાણી ભેળવવા ન ઈચ્છનાર રંક મિત્રે પોતાની નિર્ધનતા અને કુટુંબક્લેશની કુથલી કે સંજ્ઞા સરખી સરસ્વતીચંદ્ર પાસે કદી કરી ન હતી. પણ પોતાના રંક મિત્રો અને કુટુંબજનોના પત્રવ્યવહારમાં એની દુ:સ્થિતિની છાયા પડી રહી હતી અને એ છાયાનું આજ સરસ્વતીચંદ્રે પ્રથમજ દર્શન કર્યું. એ છાયાને એના હૃદયમાં પ્રથમાવતાર થયો તેની સાથેજ એ ચકિત થયો, સ્તબ્ધ થયો, અને દુઃખિત થયો.