પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૧


મ્હેતાજી – વર્તમાપત્રામાં એક... ચંદ્રની વાત આવે છે તે તો આપ નહી ?

સરસ્વતી૦– શી વાત આવે છે ?

મ્હેતાજી – મુંબાઈ છોડી એક વિદ્વાન અદૃશ્ય થઈ ગયા છે તેનું નામ ચંદ્ર ઉપર છે.

સરસ્વતી૦– વાત જાણીયે ત્યારે ઉત્તર દેવાય. તમે કીયા પત્રમાં વાંચ્યું ? અંહી વર્તમાનપત્રો આવે છે?

મ્હેતાજી - પાસે જ અમારી શાળા અને પુસ્તકશાળા છે તેમાં છે.

સરસ્વતી૦– ત્યાં ચાલશો ?

“જી મહારાજ” કરી તેના સહચારીઓ ઉઠ્યા અને સર્વજણ એક માળવગરની ઓરડી આગળ આવ્યા. તેને દ્વારે એક કાગળ ચ્હોડી તે ઉપર શાહીથી “પુસ્તકશાળા” એમ લખ્યું હતું: અંદર પુસ્તકોની પેટી, એક ગાદી, ત્રણ ચાર તકીયા, અને આખી ઓરડીમાં માયેલી જાજમ, એટલી સામગ્રી હતી. ટેબલ ખુરશી ન હતાં. ગાદી આગળ એક શેતરંજી ઉપર રાજ્યકર્તાએ મેકલાવેલાં બે વર્તમાનપત્ર હતાં, અને એક પુસ્તકશાળાના વર્ગણી આપનારાની વર્ગણીમાંથી રાખેલું પત્ર હતું. રાજ્યના નિયમ પ્રમાણે દરેક ગામડાની શાળાની પુસ્તકશાળામાં એક વર્તમાનપત્ર મફત અપાતું અને વર્ગણી આપનારાઓ વર્ગણીમાંથી જેટલા પઈસાનાં વર્તમાનપત્ર મંગાવે તેટલા જ ખરચનાં બીજાં પત્ર રાજ્યમાંથી મળતાં. પુસ્તકોની અમુક સંખ્યાઉપર પણ એવો જે નિયમ હતો. મુંબાઈના એક પત્રમાં લક્ષ્મીનંદનશેઠે, પ્રસિદ્ધ કરાવેલા ગદ્યપદ્યાત્મક લેખ હતા અને તેને મથાળે “સરસ્વતીચંદ્રનો શોધ - નંબર : ૧૦” એવા અક્ષર મ્હોટમ્હોટા હતા. એ અક્ષર ઉપર દૃષ્ટિ પડતાં સરસ્વતીચંદ્રનું હૃદય ધડકવા લાગ્યું અને ઉતાવળથી ફરી ફરી સર્વે વાત વાંચતાં આવતાં આંસુ મહાપ્રયત્નથી તે ડાબી રાખી શક્યો. “બીજા કંઈ પત્રો અને સમાચાર છે કે ?”

મ્હેતાજી – હા જી, આ રત્નપુરીમાં, નીકળતા પત્રમાં અમારા પ્રધાનજીના કુટુંબમાં બનેલા શોકકારક સમાચાર છે.

તે ઉતાવળથી વાંચતાં વાંચતાં સરસ્વતીચંદ્ર ગભરાયો. પ્રમાદધન મુવો, કુમુદસુંદરી ડુબી ગયાં, સૌભાગ્યદેવી ગુજરી ગયાં, અને બુદ્ધિધનને સંન્યસ્તનો વિચાર છે ! – આ સર્વ વાંચતાં સરસ્વતીચંદ્ર હબકી