પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૯


એના મનનો કેટલોક ભાર પણ જતો રહ્યો. તે કંઈક સ્વસ્થ થઈ સુતી, પણ નેત્ર મીંચાય ત્યાં પ્રાતઃકાળનું ચિત્ર પ્રત્યક્ષ થાય અને ઉઘડે ત્યાં વિચાર સુઝે.

“આવા પુરુષ ત્યાગી હોય તે સારું કે સંસારી હોય તે સારું ?” “એ સંસારમાં હોય તો કેટલા પ્રાણીનું કેટલું કલ્યાણ કરી શકે? હું તો ભાગ્યહીન છું તે છું પણ આવું રત્ન આ ભસ્મમાં અદૃશ્ય થાય તે તો અનિષ્ટજ !” “હું હવે તેમને શું ક્‌હેવા કથવાની હતી ?” “અરેરે ! એમની ભવ્ય સુન્દર આકૃતિ પ્રાતઃકાળના ચંદ્ર જેવી નિસ્તેજ થઈ ગઈ છે – અંહી તેમને આવું ખાવાપીવાનું અને આવાં સ્થાનોમાં સુઈ ર્‌હેવાનું – એવા કષ્ટ તપમાં તો શરીર આમ સુકાય જ ! ” “– પણ તેમના મુખની આનન્દમુદ્રા તો એવી ને એવી જ છે.” “સઉએ તમને બોલાવવા પ્રયત્ન કર્યો ન કર્યો થયો !” “મિતાક્ષર – તે પણ આગ્રહી સાધુજનની ચતુરતાએ ક્‌હડાવ્યા.” “નક્કી, એમનો શોકશંકુ ઉંડો છે. ઉંડો ઉંડો પણ છે!” “તેમણે નક્કી મને એાળખી !” થોડી વારમાં તેના નયન પાસે પ્રિય મૂર્તિ ઉભી થઈ તે જોતી જોતી કુમુદ સ્વપ્નશ થઈ સ્વપ્નમાં લવી.

[૧]"त्वत्स्नेहसंविदवलम्बितबीवैतानि
किंवा मयापि न दिनान्यतिवाहितानि ॥"

મોહની અને બંસરી બેઠાં થઈ સાંભળવા લાગ્યાં, ફરી તે લવી.”

[૨]"शोकशङ्कु:
मर्माणि कृन्तन्नपि किं न सोढः ॥"

મોહની ધીમેથી બંસરીને ક્‌હેવા લાગી: “બંસરી, અલખના કામતંત્રમાં કહી છે તે गुहा सेयम परंपरा."

બંસરી – “હા, એમજ–

[૩]"देहादाभ्यन्तरा लज्जा कज्जास्वाभ्यन्तरं मः
ततः कामस्ततो भाशा गुहा सेयं परंपरा ॥"

મોહની – “માધવે કહી હતી તેવી જ આ અવસ્થા.


  1. ૧. ત્હારા સ્નેહના જ્ઞાનથી મ્હારા જીવનને ટેકવનાર કેટલા દિવસ મ્હેંપણ નથી ગાળ્યા ?–ભવભૂતિ.
  2. ર. મર્મને કાપતા શેાકશંકુને પણ મ્હેં શું વેઠ્યો નથી ? –ભવભૂતિ.
  3. ૩.દેહથી આભ્યંતર લજજા, લજજાથી આભ્યંતર મન. તેથી કામ, નેતેથી ભાષા:– આવી ગુફામાંની ગુફાઓ મુગ્ધામાં હોય છે.