પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૫

મોહની૦– એ સમાધિ તો મ્હેં પણ પ્રત્યક્ષ કર્યો છે. નવીનચંદ્રજીને ક્‌હેવા જેવું છે કે -

[૧]तव सा कथासु परिघट्टयति
श्रवणं यदङ्गुलिमुखेन मुहुः ।
घनतां ध्रुवं नयति तेन भवद्
गुणपूगपूरितमतृप्ततया ।।

ચન્દ્રા૦- બેટા બિન્દુ, સાયંકાળે સાધુ દમ્પતીઓએ રાસ વગેરેની પરિપાટી યોજેલી છે ત્યાં નવીનચંદ્રજી આવવાના છે એમ કહી મધુરીને પણ ત્યાં લેવાની વાત કરી ત્યારે એણે શું કહ્યું ?

બિન્દુ૦– માત્ર આકાશ અને પૃથ્વી વચ્ચેનો ભાગ જોયાં કર્યો અને કંઈ બોલી નહીં.

મોહની - એ પણ સમજાયું.

[૨]गतया पुरः प्रतिगवाक्षमुखं
दधती रतेन भृशमुत्सुकताम् ।
मुहुरन्तारालभुवमस्तगिरेः
सवितुश्च योषिदमिमीतदृशा ।।

ચન્દ્રા૦- તેમનો વૈરાગ્ય જોઈ મધુરીને શો વિકાર થયો ?

ભક્તિ– તે કોઈએ સૂક્ષ્મ દૃષ્ટિથી જોયું નથી, પણ રાત્રે એ ક્‌હેતી હતી કે વિરક્ત ચન્દ્રને ગ્રાસ કરનારી ધૂમગ્રહની લેખા થવા પોતાની ઈચ્છા નથી.

મોહની– એ ભાષા ગુહામાંની આભ્યન્તર નથી. એ તો અભિમાનિકી વૃત્તિનો ઉદ્રાર છે. એવા ક્ષણિક અભિમાનથી અલખ વાસના નષ્ટ થતી નથી.


  1. ૧. ત્હારી કથા ચાલતી હોય છે ત્યારે આંગળીના ટેરવાંવડે ઘડી ઘડી કાનના ડાબલાને તે સારી રીતે પુરે છે; તેમ તે શા માટે કરે છે? ત્હારા ગુણની વાતોનાં પુમડાં એ કાનમાં આટલાં ભરાયાથી એને તૃપ્તિ વળતી નથી અને તમને તેમાં વધારે વધારે ઠાંસવા તેને વાસના થાય છે માટે આવું કરે છે. (માઘ)
  2. ૨ સામે બારીને ગેાખ હતો, તેના ભણી એ સ્ત્રી અતિ ઉત્સુકતા ભરી ગઈ અને ત્યાં જઈ સૂર્ય અને અસ્તગિરિ વચ્ચેના ભાગનું પ્રમાણ એણે ઘડી ઘડી પોતાની દૃષ્ટિ વડે ભાખ્યું, ( માધ)