ઉપદેશથી નષ્ટ ન થાય તો ક્ષમા કરશો. હું શુદ્ધ અન્તઃકરણપૂર્વક માનું છું ને કહું છું કે–
- "[૧]भवाद्दशीनां साध्वीनां मे च यन्मङ्गलं मतम् ।
- तस्मिन्नकरुणे पापे वॄथा वः करुणा मयि ॥
“આપનાં સર્વ વચન સત્ય છે, અનિવાર્ય છે, રમણીય છે અને સૂક્ષ્મ વિચારે ધર્મ્ય પણ છે. પણ જે પ્રીતિ મ્હારા શમાભિલાષને શમની વિડમ્બના જ આપે છે તે જ પ્રીતિ કોઈક અનિર્વચનીય કારણથી મને આ દુ:ખમાં પડી ऱ्હેવા પ્રેરે છે.”
ચન્દ્રા૦– મહાત્મા ! एतद्वि परिभूतानां प्रायश्चितं मनस्विनाम् । [૨] એ પ્રાયશ્ચિત્તનો અવધિ હવે સમાપ્ત થાય છે.
સર૦– બે હૃદયને જે પ્રીતિ જોડે છે તે જ પ્રીતિ મ્હારા હૃદયમાંથી ભુસાય તો આપની આજ્ઞાનું ધારણ કરવામાં વિઘ્ન નડે નહી,
ચન્દ્રા૦- તે ભુસાવાની નથી.
- [૩]अहेतु: पक्षपातो यस्तस्य नास्ति प्रतिक्रिया ।
- स हि स्नेहात्मकस्तन्तुरन्तर्मर्माणि सीव्यति ॥
સર૦– જો તે ભુસાવાની નથી તો મ્હારી મૂર્ખતાનો ભોગ થયલી રંક મુગ્ધાને કરવાનો ઉપદેશ જે માર્ગથી નિષ્ફળ થાય તે માર્ગ હું કેઈ રીતે લેઉં ? જેણે દોષ કરેલો છે તેણે તે આ શમવિડમ્બના વેઠવી જ જોઈએ અને એ દોષને લીધે દુ:ખી થઈ છે તેને શુદ્ધ શમ મળવો જોઈએ. જે પક્ષપાત અને સ્નેહ આ બે હૃદયના તંતુઓને શીવે છે તે સ્નેહની પ્રતિક્રિયા નથી તો જે જીવ શમવિડંબનાને યોગ્ય છે તે વિડંબના વેઠશે, અને જે પવિત્ર જીવ શમને પાત્ર છે તેને તે મળશે – એટલે મ્હારી વાસના તૃપ્ત થશે.
ચન્દ્રા૦- તમારી જાતને શિક્ષા કરવી કે નહી તે કર્મ અને ફલના સંયોજક ઈશ્વરના હાથમાં રાખો. પણ જે જીવને શમ આપવા ઈચ્છો છો તેને તે તમે જાતેજ આપો.
- ↑ ૧. તમારાં જેવાં સાધ્વીનું અને મ્હારું જેને મંગલ ગણેલું છે તેના ઉપરનિર્દય થનાર પાપી જે હું તેને માટે તમે વૃથા દયા આણો છો. ( ઉત્તર રામઉપ૨થી ).
- ↑ ર. પરિભવ પામેલા મનસ્વીઓનું આ જ પ્રાયશ્ચિત્ત છે. ( ઉત્તર રામ )
- ↑ ૩. હેતુ વગરનો જે પક્ષપાત થાય છે તેની પ્રતિક્રિયા નથી. અન્તમર્મભાગોને શીવી લેનાર સ્નેહાત્મક તન્તુ તે એજ.( ઉત્તર રામ )