- “[૧]यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् ॥
“ એ શ્રેષ્ટ યજ્ઞમાં એ પરમ પુરુષ જાતે જ યજ્ઞનું પશુ [૨]થાય છે, વસન્ત એનું આજ્ય[૩] થાય છે, ગ્રીષ્મ ઇન્ધન [૪], થાય છે, અને શરદ્ હવિ[૫]થાય છે. ચારે વેદ એ યજ્ઞમાંથી ઉત્પન્ન થાય છે. એમાં યજમાન અને હોતા દેવો અને ઋષિજનો થાય છે. એ પુરુષસાથે અદ્વૈત પામવાનો[૬] આપણો વિધિ એ યજ્ઞમાં ભળવાથી સધાય છે. વ્યષ્ટિ અને સમષ્ટિની પ્રવૃત્તિઓનો અભેદ થાય એટલી આમાં ફલજિઘત્સા [૭] છે. આ ફલજિઘત્સાને જ શુદ્ધ નૈષ્કામ્ય અને બ્રહ્માર્પણ ક્હે છે. જીવ અને ઈશ્વરનો, ઈશ અને અનીશનો, અદ્વૈતયોગ આથી જ સધાય છે. બ્રહ્મ, ઈશ અને જીવ, અથવા પરમ અલક્ષ્ય, પરમ લક્ષ્ય પુરુષ, અને જીવસ્ફુલિંગ એ ત્રણેનો ત્રિયોગ સાધવાનું આ પ્રથમ પગલું છે. કર્મમાત્રનો યોનિ લક્ષ્ય બ્રહ્મ છે અને લક્ષ્ય બ્રહ્મનો યોનિ અલક્ષ્ય અક્ષર બ્રહ્મ છે.[૮] સ્વયોનિલાભથી કર્મ લક્ષ્ય બ્રહ્મમાં અને લક્ષ્ય અલક્ષ્યમાં શાંત થાય છે તે આ જ ત્રિયોગથી થાય છે. ભૂતમાત્રને આત્મવત્ ગણી આત્મસાત કરવાનો માર્ગ તો આપણા પંચમહાયજ્ઞથી જ સધાય છે, તેમાં આવી નિષ્કામતા, આવા શિષ્ટતમ હેતુ, અને સર્વભૂતના કલ્યાણરૂપ આવું ફળ છે."
"સંસારના પંચમહાયજ્ઞ પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ, ભૂતયજ્ઞ, દેવયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ એવા ગણાય છે. સાધુજનોના યજ્ઞોનાં નામ એવાં જ છે પણ તે યજ્ઞોના આત્મા અને શરીર જુદા પ્રકારનાં છે. પરમ પુરુષના પરમયજ્ઞમાં પુરુષ પોતે જ પશુસ્થાને બલિરૂપ થઈ હોમાય છે, તેમ પુરુષસ્ફુલિંગ જીવાત્મા સાધુજનોના આ પંચયજ્ઞમાં જાતે જ પશુવત્ હોમાય છે – જીવાત્મા સૂક્ષ્મ અને કારણ શરીર સહ વર્તમાન આમાં પશુ થઈ મેધ્ય થાય છે. ભોગાયતન સ્થૂલ શરીર છે તે આ યજ્ઞની વેદી થાય છે. વ્યોમચારી પક્ષી ચાંચમાંનું ફળ કોઈ વૃક્ષ ઉપર બેઠા વિના ભોગવી શકતું નથી તેમ જન્મપરંપરાનું પક્ષી સુક્ષ્મ શરીર સ્થૂલશરીરમાં