આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
- “એણે રેલાવ્યો અબળામાં પ્રેમ,
- “રેલે સરિતા ચોમાસે જેમ.
- “રસ જાણ્યો તે નીવડી આગ,
- “દેહ બળતાં, બચ્યો નહી વાળ.”
“મ્હારી બુદ્ધિમાં જુનાં, સ્વ્પ્ન ફરી તરવરે છે અને નવાં સ્વપ્ન ઉભરાય છે ! સ્થૂલ પ્રીતિ | તું પણ પ્રસંગ આવ્યે બળ કરવા, ચુકતી નથી.” કુમુદના મુખ ઉપર નવીન શોક અને નવી સુન્દરતા ચમકવા લાગ્યાં ને તે જોનારના હૃદયમાં નવી જાતનો કંપ થયો. કંપાવનાર ગાન કંઈ અટકયું ન હતું.
- "પ્રેમી અબળાને પ્રેમે ભુલાવી,
- "ધીકધીકતા અગ્નિમાં ચલાવી,
- "શીતળ થાવાને વનમાં આવી,
- "નિરાશા છે લલાટે લખાવી !”
“ખરી વાત છે ? દુષ્ટ જીવ, કુમુદની આશા અને નિરાશાની લગામો ત્હારા જ હાથમાં રહી છે અને ત્હારે તો વૈરાગ્યમાં ઘોરવું છે !”
નવાં સ્વપ્નોએ સાંભળનારને મર્મવચન કહ્યું.આગળ ચાલતી કવિતા હજી વધારે મર્મભેદક નીવડતી હતી.
- "ઘર છોડ્યું ને વનમાં આવી,
- "ટુંકું ભાગ્ય ત્યાંયે સાથ લાવી.
- "તમ જેવાનો સત્સંગ થાય,
- "ત્હોય મટતો ન મનનો ઉચાટ.”
“સત્સંગ” શબ્દે હજી નવા વિચાર જગાડ્યા.
- "જગ પાવન ને નિર્વિકાર
- "શાંત દાંત તમે, યોગીરાજ !”
“હું ઇચ્છું છું- કુમુદ, હું ઈચ્છું છું કે તું જેવો મને કલ્પે છે તેવો હું હઉં ને ન હઉં તો થઉં. પણ આ ઇચ્છા તે ત્હારી નિરાશાની છે કે આશાની છે ? ત્હારી હૃદયગુહા ઘણી ઉંડી ને સૂક્ષ્મ છે ત્યાં ત્હારા મર્મસ્થાનમાં પ્હોંચવું એ હવે મ્હારો ધર્મ.”
- "તેને શરણ વૃથા હું આવી,
- "શોક મૂઢ વિકારિણી નારી !