ભણી પુંઠ કરી આપણાં સ્વપ્નચારી પાત્રો દક્ષિણ દિશા ભણી દૃષ્ટિ કરી ઉભાં, તે નીચે ત્રિકોણાકાર ભારતવર્ષ ને તેની ત્રણે પાસે મહાસાગરની છોળો ઉછળતી દેખાઈ ને એ છોળોના પછાડાની ગર્જના છેક આમના કાનના પડદા સાથે અથડાવા લાગી. આ સર્વ જોવામાં તેઓ રોકાયાં છે તેવામાં પોતે ઉભેલાં હતાં તે તટની નીચે પાસેથી જ સ્વર સંભળાયો ને તેનો પ્રથમ અક્ષર કાનમાં આવતાં બે જણ કાન માંડી સાંભળવા લાગ્યાં ને સ્વરનું મૂળ આંખ વડે શોધવા લાગ્યાં. સ્વર સ્પષ્ટ હતો.
- “उत्फुल्लार्जुनसर्जवासितवहत्पाश्चात्यझंझामरुत्-
- "प्रेङ्खोलस्खलितेन्द्रनीलशकलस्निग्धाभ्युदश्रेणयः ।
- "धारासिक्तवसुन्धरासुरभयः प्राप्तास्त एतेऽधुना
- "धर्माम्भोविगमागमव्यतिकरश्रीवाहिणो वासराः॥"[૧]
સર૦– કુમુદ, આ જોયું છેટે કુરુક્ષેત્ર ? ત્યાંથી આ ધીર ગંભીર સ્વર આવે છે !
કુમુદ૦- આપણી પેઠે પૃથ્વીનો સ્પર્શ કર્યા વિના એના ઉપર દૃષ્ટિ રાખી જોતી જોતી આ કોઈ દિવ્ય છાયા છે.
સર૦– આ મ્હારો ચિન્તામણિ એ છાયાનું પ્રતિબિમ્બ ધારે છે ને અત્યાર સુધી અદૃષ્ટપૂર્વ હતી એવી કોઈ સુન્દરતા એ મણિમાં પ્રત્યક્ષ થાય છે.
કુમુદ૦– હા, હું પણ આપણા અદ્વૈતથી જોઉં છું.
સર૦– એ તો ભગવાન પરશુરામ પોતે જ ! વિષ્ણુના સર્વ અવતાર પોતપોતાના યુગનો ઉદ્ધાર કરી સ્વધામમાં ગયા ત્યારે આટલો અવતાર સર્વ યુગમાં આ દેશનો ઉદ્ધાર કરવા ચિરંજીવ રહેલો છે. રામાવતારમાં શ્રીરામે આ અવતારનું તેજ શાંત કરી, પોતાનું તેજ પ્રકટ કર્યું ત્યારથી આ શાંત જ્યોતિ પુરુષરૂપે પૃથ્વીનો ત્યાગ કરી પૃથ્વીના વાતાવરણમાં આ દેશના શિર ઉપર પોષક મેઘ પેઠે ફર્યા કરે છે, રાત્રે રાત્રે આ કુરુક્ષેત્રના ઉપરના ભાગમાં આવી વાસો કરે છે, ને આ દેશની અને આ ક્ષેત્રની ચિન્તા કર્યા કરે છે.
કુમુદ૦– એમણે કરેલા ઉદ્રાર સમજાયા નહી.
સર૦– અનેક યુગોના ચિરંજીવ આ અવતારની અકેકી ઘડીમાં આપણાં વર્ષોનો સમાસ થાય છે. બ્રાહ્મ તપમાં વિઘ્નકર થતાં સહસ્ત્રાર્જુન જેવો મર્દનીય પણ સંસારના કલ્યાણને અર્થે અન્ય પ્રસંગે કૃષ્ણાવતારમાં
- ↑ ૧. માલતીમાધવ ઉપરથી.